Fact Check: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંથી ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબર હાલ વાયરલ થઈ છે, જેમાં કોરોનાથી બચવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, વેક્સિનેશન અપનાવવાથી મરી જશો તેવો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે આ ખબર ફેક હોવાનું કહ્યું છે.


સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં એક વ્યક્તિ લોકોને માસ્ક ન પહેરવા તથા વેક્સિન ન લેવાનું કહી રહ્યો છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યુ, આવા વીડિયો ફોરવર્ડ ન કરો. કોવિડથી બચવા માટે માસ્ક, રસીકરણ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.




પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,71,202 નવા કેસ નોંધાયા છે અને 314 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,38,331 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 15,50,377 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.28 ટકા છે ઓમિક્રોનના કુલ 7,743 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 70,24,48,838 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 જાન્યુઆરીએ 16,65,404 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.