કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલ ખેડૂતોના આંદોલનનો આજે 44મો દિવસ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બપોરે બે વાગ્યે વિજ્ઞાન ભવનમાં વાતચીત થશે. જો કે બેઠકના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે બાબા લક્ખાસિંહને કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર તોમર સાથે મુલાકાત કરી હતી અને ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થતા માટે કૃષિમંત્રીને પ્રસ્તાવ આપ્યો છે.


સુત્રોની માહિતી પ્રમાણે લક્ખાસિંહને સરકારનો પક્ષ સાંભળ્યો તો બીજી તરફ ગુરુવારે ખેડૂતોએ દિલ્લીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી હતી. જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. માર્ચ સિંધુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી નીકળી હતી.

સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધી આઠ તબક્કાની વાતચીત થઇ ચૂકી છે. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. એક બાજુ ખેડૂતો કૃષિ કાયદો રદ કરવાની માગ પર અડગ છે. તો બીજી તરફ કેંદ્ર સરકાર ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા ગણાવે છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે બુધવારે ખેડૂત આંદોલનની સ્થિતિમાં કોઇ ફેર નહીં પડ્યો હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ એસ એ બોબડેની બેંચે સોલિસીટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ કે કે વેણુગોપાલને કહ્યું કે, સ્થિતિમાં કોઈ સુધારો નથી. સાથે જ કહ્યું કે, અમે ખેડૂતોની સ્થિતિ સમજીએ છીએ.

ખેડૂત આંદોલન અંગે અનેક તબક્કાની સરકાર સાથે મંત્રણા યોજાઇ હોવા છતાં કોઇ ફેર નહીં પડતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. જો કે, સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતા અને એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અમને આશા છે કે ટૂંક સમયમાં આ મડાગાંઠ ઉકેલાઇ જશે.