નવી દિલ્હીઃ કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂતોએ દિલ્હી જયપુર અને આગ્રા હાઇવેને આજથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશભરમાં તમામ ટોલ નાકાને ટોલ ફ્રી કરવાનું એલાન કર્યુ છે.


શુક્રવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું, કોઈપણ કાનૂનની જોગવાઈ પર આપત્તિ હોય તો તેની ચર્ચા થઈ શકે છે. પ્રસ્તાવમાં અમે તેમની આપત્તિનું નિરાકરણ કરવાની કોશિશ કરી છે. તેમમે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ.

મંત્રીએ કહ્યું, હું ખેડૂત યૂનિયનોના લોકોને કહેવા માંગુ છું કે વાતચીત કરવી જોઈએ. સરકારે તેમને જે પ્રસ્તાવ આપ્યો છે તેના પર વિચાર કરવો જોઈએ. આંદોલનથી ખેડૂતોને પણ પરેશાની થઈ શકે છે. શિયાળાની મોસમ છે, કોરોનાનો ખતરો છે. જનતાને પણ આંદોલનથી પરેશાની થઈ રહી છે. તેથી ખેડૂતોએ આંદોલન ખતમ કરી દેવું જોઈએ અને વાતચીતથી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

તેમણે એમ પણ જણાવ્યું, આંદોલન દરમિયાન યૂનિયન સાથે છ તબક્કાની વાતચીત થઈ. સરકારનો સતત આગ્રહ હતો કે કાનૂનની કઈ જોગવાઈ પર આપત્તિ છે. દરેક તબકકાની વાતચીતમાં આ શક્ય નહોતું બની શક્યું. અમે ખેડૂતો સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગીએ છીએ. ખેડૂતોની દરેક ચિંતા પર વાત કરવામાં આવી છે.

કૃષિ મંત્રીએ કહ્યું, ભારત સરકારે સમજી વિચારીને કૃષિ કાનૂન બનાવ્યો છે. ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવા માટે બનાવાયો છે. ખેડૂતોની સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, તેને દૂર કરવા બનાવાયો છે. તેમ છતાં સરકાર ખેડૂત યૂનિયનો સાથે વાતચીત કરીને કાનૂનમાં સુધારો લાવવા તૈયાર છે.

રાજ્યમાં સતત ત્રીજા દિવસે માવઠું, નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું