નવી દિલ્હી: ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસે 37 જેટલા ખેડૂત નેતાઓ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. ધરણા પર સામેલ લગભગ તમામ નેતાઓના નામ સામેલ છે. એફઆઈઆરમાં નર્મદા બચાવો આંદોલનની મેધા પાટકર અને સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવનું નામ પણ છે.


ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા મામલે દિલ્હી પોલીસે અત્યાર સુધી 200 લોકોની અટકાયત કરી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, જલ્દીજ તેઓની ધરપકડ કરવામાં આવશે.

જમુકી ખેડૂત સભા પંજાબના કુલવંત સિંહ સંધુ, ભારતીય કિસાન સભા ડાકોડાના બૂટા સિંહ, કવંલપ્રીત સિંહ પન્નુ, કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સતનામ સિંહ પન્નુ, સુરજીતસિંહ ફૂલ, જોગિંદર સિંહ હરમીત સિંહ કાદિયાન, બલવીર સિંહ રાજેવાલ, સતનામ સિંહ સાહની, ડૉ દર્શન પાલ, ભોગ સિંહ મનસા, બલવિંદર સિંહ ઓલક, કૃપાલ સિંહ નાટુવાલા, રાકેશ ટિકેત, કવિત, ઋષિપાલ અંબાવતા અને પ્રેમ સિંહ ગહલોતના નામ સામેલ છે.

દિલ્હી પોલીસની આ એફઆઈઆરમાં આપરાધિક ષડયંત્ર, લૂંટ, ઘાતક હથિયારનો પ્રયોગ અને હત્યા કરવાનો પ્રયાસ જેવી ગંભીર ધારાઓ સહિત કુલ 13 ધારાઓ લગાવી છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન મંગળવારે થયેલી ઝપાઝપીમાં દિલ્હી પોલીસના અનેક પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા છે. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, 600 ટ્રેક્ટરો દ્વારા 10 હજારથી વધુ ખેડૂતો દિલ્હીમાં દાખલ થયા બાદ અનેક પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા છે અને 70 બેરિકેડ તોડી દીધા હતા.