નવી દિલ્હી: નવા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ શનિવારે સરકાર સાથે ફરીથી વાટાઘાટો કરવાનો નિર્ણય લીધો છે અને આગામી બેઠકના રાઉન્ડ માટે 29 ડિસેમ્બરની તારીખનો પ્રસ્તાવ આપ્યો છે. ખેડૂત નેતા રાકેશ ટિકેતે આ જાણકારી આપી હતી. કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની વિવિધ સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા 40 ખેડૂત સંગઠનોના મુખ્ય સંગઠન સંયુક્ત ખેડૂત મોર્ચાની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સાથે ખેડૂતોએ શરતો પણ મૂકી છે.


ભારતીય ખેડૂત યુનિયનના વરિષ્ઠ નેતા ટિકેતે કહ્યું કે, ત્રણ કૃષિ કાયદાને પરત લેવા માટેના નીતિ-નિયમો અને એમએસપી માટે ગેરંટીના મુદ્દા સરકાર સાથે વાતચીતના એજન્ડામાં સામેલ થવા જોઈએ. ટિકેતે કહ્યું કે, 29 ડિસેમ્બરે સરકાર સાથે ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે.

શું છે ખેડૂતોની શરતો

- સરકાર ત્રણેય નવા કૃષિ કાયદા રદ્દ કરે
- એમએસપી( મીનિમમ સપોર્ટ પ્રાઈઝ) કાયદાની ગેરંટી આપે
- વીજળી બિલ ડ્રાફ્ટમાં ફેરફાર કરવામા આવે
- પરાળી કાયદામાંથી ખેડૂતોને બહાર રાખવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલનનો શનિવારે 31મોં દિવસ હતો. ખેડૂતો નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે. સરકારે આ નવા કૃષિ કાયદામાં મોટા સુધારા તરીકે રજૂ કર્યા છે, જેનો હેતુ ખેડૂતોને મદદ કરવાનો છે. જ્યારે પ્રદર્શનકારી ખેડૂતોને આશંકા છે કે, તેમાં મંડી અને એમએસપીની વ્યવસ્થા ખતમ થઈ જશે. જેનાથી મોટા કોર્પોરેટોની દયા પર નિર્ભર રહેવું પડશે.