નવી દિલ્હી: કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનને લઈને થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવાનું કહ્યું છે. જેના કારણે બંને પરસ્પર મુદ્દા પર ચર્ચા કરી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય મુદ્દા પર સહમતિથી ઉકેલ આવે તે જરૂરી છે. હવે આ મામલે આવતી કાલે સુનાવણી થશે.


સુપ્રીમ કોર્ટે આ મામલે કેંદ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું કે અમે આ મામલે એક કમિટીની રચના કરીશું જે આ સમસ્યાનો ઉકેલ લાવશે. તેમાં ખેડૂત સંગઠન, કેંદ્ર સરકાર અને અન્ય લોકો હશે. કોર્ટે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતથી હાલ ઉકેલ આવતો જોવા મળી રહ્યો નથી.

ખેડૂતોના આંદોલન અંગે સુપ્રીમ કોર્ટમાં 3 અરજી દાખલ થઈ છે. કાયદાના વિદ્યાર્થી ઋષભ શર્માએ દાખલ કરેલી અરજીમાં દિલ્હીની સરહદોથી ખેડૂતોને હટાવવાની માગણી કરવામાં આવી છે અને કહેવાયું છે કે તેનાથી રસ્તાઓ બ્લોક થઈ રહ્યા છે. ઈમરજન્સી અને મેડિકલ સેવા ખોરવાઈ છે. અરજીમાં કહેવાયું છે કે પ્રદર્શનકારીઓને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નિર્ધારિત સ્થાન પર ખસેડવા જોઈએ. એક અન્ય અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને ખેડૂતોની માંગ પર વિચાર કરવાના નિર્દેશ આપે.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે સતત 21માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર બેઠા છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હી-નોઈડાની ચિલ્લા બોર્ડર એકવાર ફરીથી બંધ કરી દીધી છે. જે હાલમાં જ ખોલવામાં આવી હતી. સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 6 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જેનું કોઈ પરિણામ આવ્યું નથી.