નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના રવિવારે બપોરે નિગમબોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભાજપ નેતા સુધાંશુ મિત્તલે આ જાણકારી આપી હતી. જેટલીનું નિધન બપોરે 12 વાગ્યાના સાત મિનિટ પર દિલ્હીની એઇમ્સમાં થયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ નવ ઓગસ્ટના રોજ એઇમ્સમાં દાખલ થયા હતા.


એક રિપોર્ટ અનુસાર, રવિવારે સવારે તેમનો પાર્થિવ દેહ ભાજપના હેડક્વાર્ટર લઇ જવામાં આવશે જ્યાં રાજકીય પક્ષોના નેતા તેમને શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં નિગમબોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે. થોડા દિવસ અગાઉ અરુણ જેટલીને ખબરઅંતર પૂછવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.


નોંધનીય છે કે મે 2018માં જેટલીનું અમેરિકામાં કિડની પ્રત્યારોપણ થયુ હતું. ત્યારબાદ જેટલીની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવા અને મંત્રાલયનો કાર્યભાર છોડવા પાછળ તેમની ખરાબ તબિયત કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જેટલીએ પોતે જ ટ્વિટર પર એક ચિઠ્ઠી લખીને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની જાણકારી આપી હતી.