નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને 1988ના ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા છે. એકે શર્મા આજે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને યૂપીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. પાર્ટીમાં જોડાયા બાદ શર્માએ કહ્યું કે, ભાજપમાં સામેલ થવાથી ખૂશ છું.



ઉલ્લેખનીય છે કે, એકે શર્માને ઉત્તર પ્રદેશમાં મોટી મહત્વની જવાબદારી મળી શકે છે. સોમવારે જ એકે શર્માએ ભારતીય વહિવટી સેવામાંથી વીઆરએસ લીધું હતું. એકે શર્મા પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે. શર્માએ નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે સાથે કામ કર્યું હતું. મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ શર્મા દિલ્હી આવ્યા અને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી બન્યા હતા. તેમણે પહેલા સીએમઓ અને બાદમાં પીએમઓમાં મહત્વની જવાબદારી સંભાળી હતી.

અરવિંદ કુમાર શર્માએ કહ્યું કે, “ હું પાર્ટીમાં સામેલ થઈને ગૌરવ અનુભવી રહ્યો છું. દેશમાં દળ અને પાર્ટીઓ ઘણી છે. હું કોઈ રાજકીય દળ સાથે જોડાયેલ નથી, તો પણ ભાજપ જેવી પાર્ટીનો સભ્ય બની ગયું છે. આ કામ માત્ર મોદીજી અને ભાજપ જ કરી શકે છે.”

ગુજરાત કેડરના 1988 બેચના સિનિયર આઈએસ અધિકારી અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી રિટાયર IAS અધિકારી અરવિંદ કુમાર શર્મા PMOમાં તેમની સાથે ફરજ બજાવતા હતા.

6 વર્ષ સુધી PMOમાં રહ્યા બાદ તેમની ગઇ 30 એપ્રિલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીઝના સચિવ પદે બદલી કરવામાં આવી હતી. આ બદલી કર્યાના 9 મહિના બાદ IAS અરવિંદ શર્માએ અચાનક સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ. શર્મા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. મોદી વડાપ્રધાન બનતાં તેમને દિલ્હી લઇ ગયા હતા.

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી 2001માં બન્યા ત્યારથી અરવિંદ કુમાર શર્મા તેમની સાથે કામ કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ વાઈબ્રન્ટ ગુજરાતને આગળ લઈ જવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. આમ તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે છેલ્લા બે દાયકાથી કામ કરી રહ્યા છે.