ભારતમાંથી વિદાય રહેલા કોરોનાએ ફરી એકવાર આતંક મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકન અને બ્રાઝિલના ખતરનાક કોરોના વેરિયંટનો ભારતમાં પગપેસારો થયો છે. અત્યાર સુધી બ્રિટનના નવા વાઇરસના દર્દીઓ મળી રહ્યા હતા ત્યારે હવે પહેલી વખત દક્ષિણ આફ્રિકાના નવા કોરોના વાઇરસ સાર્સ કોવી 2ના ચાર દર્દી મળી આવ્યા છે. જ્યારે બ્રાઝિલના નવા વાઇરસનો પણ એક દર્દી મળી આવ્યો છે. જેને પગલે પ્રશાસન સતર્ક થઇ ગયું છે.


કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના આ નવા વેરિયંટ જોવા મળી રહ્યા છે. આફ્રિકન અને બ્રાઝિલીયન કોરોનાનો ચેપ ધરાવતા દર્દીઓને હાલ પૂણે સારવારમાં ખસેડાયા છે. હાલ વિશ્વમાં આશરે 44 દેશોમાં દક્ષિણ આફ્રિકન કોરોના વાઇરસ પહોંચી ગયો છે અને હવે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. નવા વાઇરસના ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા 187 પર પહોંચી ગઇ છે, જોકે તેમાંથી કોઇનું મોત નથી નિપજ્યું.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 88.50 લાખ લોકોને રસી આપવામાં આવી છે. લાભાર્થીઓમાં 61 લાખ સ્વાસ્થ્યકર્મીઓને પ્રથમ અને 1.70 લાખને બીજો ડોઝ આપી દેવાયો છે. તેવી જ રીતે 24.57 લાખ ફ્રંટલાઇન વર્કરને પણ રસી આપવામાં આવી છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા અન્ય રાજ્ય કરતાં ઘણી વધારે છે. આ રાજ્યોમાં દેશના કુલ એક્ટિવ કેસોના 72 ટકા છે. કેરળમાં હાલ 61550 જ્યારે મહારાષ્ટ્રમાં 37,383 એક્ટિવ કેસ છે.