નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આવતી 1 ફેબ્રુઆરીએ વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવાની છે. એમાં બે ટકા સુધીનો વન-ટાઈમ કોવિડ-19 રિલીફ સેસ લાદવામાં આવે એવી ધારણા છે. કોરોના વાઈરસ રોગચાળાને કારણે દેશના અર્થતંત્રને માઠી અસર પહોંચી છે અને તેને પુનર્ઘઠિત કરવા માટે મહેસૂલી આવકની જરૂર છે. રોગચાળાને કાબૂમાં રાખવા માટે આ વર્ષમાં ખર્ચો અભૂતપૂર્વ રીતે વધી ગયો છે તેથી મહેસૂલી આવક ઊભી કરવાનું સરકાર પર દબાણ આવ્યું છે.


એમ કહેવાય છે કે બે ટકા સુધીનો વન-ટાઈમ કોવિડ-19 રિલીફ સેસ લાદવા વિશે નાણાં મંત્રાલયમાં સક્રિય રીતે વિચારણા ચાલી રહી છે અને મોટે ભાગે તે મંજૂર રાખવામાં આવશે એવું મનાય છે. આ કોવિડ સેસ રૂ. 10 લાખ કે તેથી વધુની કરપાત્ર આવક પર લાદવામાં આવે એવી ધારણા છે. આ કોવિડ-સેસ હાલના આરોગ્ય તથા શિક્ષણ માટે લાદવામાં આવેલા બે ટકાના સેસની ઉપરાંતનો હશે. એનાથી રૂ. 12,000 કરોડની આવક ઊભી થઈ શકવાનો સરકારને અંદાજ છે. આ સેસનો આઈડિયા ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ ઓર્ગેનાઈઝેશને ગયા વર્ષના અંતભાગમાં તેના એક નીતિવિષયક દસ્તાવેજમાં સૂચવ્યો હતો.

કોવિડ-19 વેક્સિનેશન માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડી રહી છે. જો કે કોવિડ 19 વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન, મેનપાવર ટ્રેનિંગ અને લોજીસ્ટિક્સનો ખર્ચ રાજ્ય સરકાર પર છે. કોવિડ સેસ દ્વારા કેન્દ્ર સરકાર ખૂબજ ઝડપથી ફંડ મેળવી શકે છે. જો કેન્દ્ર સરકાર સીધા ટેક્સના રૂપમાં આ ખર્ચ વસૂલે છે તો તેના વિરોધની સંભાવના હોઈ શકે છે. સાથે જ કેન્દ્ર સરકારને આનો એક હિસ્સો રાજ્ય સરકારને પણ આપવો પડે છે. પરંતુ સેસથી આવનારી રકમ સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારની હોય છે.

એક અનુમાન મુજબ કોરોના વેક્સિન રોલઆઉટ પર ઓછામાં ઓછા 60થી 65 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સરકાર નાણાંકીય ખાધ 14.5 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે.