કેન્દ્ર સરકારના રસીકરણ અભિયાને દેશના નાગરિકોના બે ભાગલા પાડી દીધા છે. જેમાં કોવિશીલ્ડની રસી લેનારા લોકો દેશ-વિદેશમાં ગમે ત્યાં રોકટોક વગર ફરી શકે છે, જ્યારે કોવેક્સિન રસી લેનારા લોકોએ અમુક પ્રતિબંધનો સામનો કરવો પડે છે. આ ટિપ્પણી મંગળવારે કેરળ હાઈકોર્ટ એક મામલાની સુનવાણી વખતે કરી હતી.


હાઈકોર્ટે એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરી હતી. આ વ્યક્તિ સાઉદી અરબમાં નોકરી કરતો હો અને કોવેક્સિન રસી લાધી બાદ તેને પરત જવાની મંજૂરી મળતી નહોતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગટન દ્વારા કોવેક્સિનને માન્યતા ન મળવાના કારણે આ વ્યક્તિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેનું કહેવું હતું કે, કોવેક્સિનને માન્યતા ન મળવાના કારણે તેની નોકરી પર સંકટ ઉભું થયું છે.


વ્યક્તિના મૌલિક અધિકારનું હનન


મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું દેશમાં એક તરફ એવા લોકો છે, જે ગમે ત્યાં જઈ શકે છે, જ્યારે બીજી તરફ કોવેક્સિન લીધેલા લોકો પર હજુ પણ ઘણા પ્રતિબંધ છે. કોર્ટે કહ્યું કે આ પૂરી રીતે વ્યક્તિના મૌલિક અધિકારો સાથે સંકળાયેલો મામલો છે. આ તેમના અધિકારોનું હનન છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અરજીકર્તાને ત્રીજો ડોઝ આપે તેવો આદેશન નહીં આપે પણ કેન્દ્ર એક મહિનાની અંદર અરજીકર્તાની સમસ્યાનું સમાધાન કરે તેવો આદેશ આપી શકે છે. આવો એક મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. આ  મામલે કેન્દ્ર સરકારે કહ્યું કે તે વિશ્વ સંગઠનની માન્યતાની રાહ જોઈ રહ્યા છે. કોર્ટ આ મામલે 5 નવેમ્બરે વધુ સુનાવણી કરશે.


કેન્દ્ર વધુ સમય ઈચ્છતી હોય તો.....


કોર્ટે કહ્યું, માત્ર મૂંગા દર્શક બનીને બેસી ન રહેવાય. અમને કેન્દ્રના જવાબની રાહ છે. જો કેન્દ્ર આ મામલે વધુ સમય ઈચ્છતી હોય તો અરજીકર્તાને સાઉદી અરબમાં જે પગાર મળતો હતો તેટલું જ વેતન ચૂકવવું જોઈએ.