ચંદીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી દૂર રહી ગઇ છે. હરિયાણા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે. હરિયાણામાં ભાજપ સરકારમાં મંત્રી રહેલા 8 લોકો ચૂંટણી હાર્યા છે. સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ અને બનવાલી લાલને છોડીને ખટ્ટર સરકારના તમામ મંત્રી ચૂંટણી હારી ચૂક્યા છે. હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી.


હારનારા મંત્રીઓમાં રામવિલાસ શર્મા, કેપ્ટન અભિમન્યુ, ઓમપ્રકાશ ધનખડ, કવિતા જૈન સહિતના મંત્રીઓ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભાજપ સરકારમાં નાણામંત્રી રહેલા કેપ્ટન અભિમન્યુને પણ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને જનનાયક જનતા પાર્ટીના રામકુમાર ગૌતમે 12029 મતોથી હરાવ્યા. હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા ઓમ પ્રકાશ ધનકડને પણ હારનો સામનો કરવો પડ્યો. હરિયાણા ભાજપ સરકારમાં શિક્ષા મંત્રી રહેલા રામ બિલાસ શર્મા પણ ચૂંટણી હાર્યા છે. ખટ્ટર સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી રહેલા કવિતા જૈન પણ પોતાની બેઠક બચાવી ન શક્યા.

ખટ્ટર સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રહેલા કૃષ્ણ લાલ પવાર પણ પોતાની બેઠક બચાવી ન શક્યા. મંત્રી મનીષ ગ્રોવરને પણ રોહતકમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ભારત ભૂષણ બત્રાએ ગ્રોવરને 2735 મતોના અંતરથી હરાવ્યા. મંત્રી કરણ દેવ કંબોજ પણ રાદોરથી હાર્યા છે.