નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કને 14000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને દેશમાંથી ફરાર થયેલો હીરા વેપારી મેહુલ ચોક્સીએ સોમવારે મુંબઇ હાઇકોર્ટમાં પોતાની બીમારીની જાણકારી સાથે એક એફિડેવિટ દાખલ કરી જણાવ્યું હતું કે, તે દેશમાંથી ભાગ્યો નથી પરંતુ પોતાની સારવાર માટે વિદેશમાં છે. ચોક્સીએ કહ્યું કે, હું હાલમાં એન્ટીગુઆમાં છું અને તપાસમાં મદદ કરવા માંગુ છું. જો કોર્ટને યોગ્ય લાગે તો તે તપાસ અધિકારીને એન્ટીગુઆ મોકલવાના નિર્દેશ આપી શકે છે.


ભાગેડું હીરા વેપારીએ કહ્યું કે, હું તપાસમાં સામેલ થવા માંગું છું પરંતુ સ્વાસ્થ્ય સંબંધી કારણોથી પ્રવાસ કરવામાં અસમર્થ છું. પરંતુ એ વિશ્વાસ અપાવુ છું કે જો પ્રવાસ કરવામાં સક્ષમ થઇશ ત્યારે ભારત પાછો ફરીશ. ચોક્સીએ કહ્યું કે, હું વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ખાસ કોર્ટ અને તપાસ અધિકારી સમક્ષ રજૂ થવા માંગું છું.

એફિડેવિટમાં ચોક્સીએ કહ્યું કે, સીબીઆઇ અને ઇડીનો દાવો કર્યો છે કે હું તપાસમાં સહયોગ કરી રહ્યો નથી જે એકદમ ખોટું છે. પોતાની બીમારીનું બહાનું બતાવીને ચોક્સીએ દાવો કર્યો હતો કે તે એન્ટીગુઆથી બહાર યાત્રા કરી શકશે નહીં. જોકે, ઇડી અને સીબીઆઇ એન્ટીગુઆમાં આવીને તેની પૂછપરછ કરી શકે છે.

નોંધનીય છે કે મેહુલ ચોક્સી અને તેમના ભાણીયા નીરવ મોદીએ પીએનબીને 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. નીરવ મોદી હાલમાં લંડનની એક જેલમાં બંધ છે જેના પ્રત્યાર્પણ માટે ભારતે બ્રિટનને વિનંતી કરી છે જેનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે.