મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા તમામ પક્ષો મહેતન કરી રહ્યા છે. ત્યારે સુત્રો પ્રમાણે જાણકારી મળી છે કે, ગુરૂવારે રાત્રે દેવેન્દ્ર ફડણવીસે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાતરી આપી હતી કે, મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર બનશે. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બીજેપી સિવાય કોઈ પક્ષ સત્તા પર આવી શકશે નહીં. આ બેઠકમાં ધારાસભ્યોને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ખેડૂતો અને જનતાની વચ્ચે જઈને કહો કે, મહારાષ્ટ્રમાં બીજેપીની જ સરકાર બનવા જઈ રહી છે.

મહારાષ્ટ્રમાં 21 તારીખે મતદાન યોજાયું હતું અને 24 તારીખે પરિણામ આવ્યું હતું. ત્યાર બાદ બીજેપી સૌથી મોટી પાર્ટી હતી જ્યારે સાથી પક્ષ શિવસેના બીજી મોટી પાર્ટી હતી. જોકે બન્ને પક્ષની વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ સર્જાયો હતો. જોકે શિવસેના સરકારમાં અડધા કાર્યકાળ માટે પોતાની પાર્ટીના મુખ્યમંત્રીની ડિમાંડ કરી રહી હતી. શિવસેનાએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલા બીજેપી સાથે 50-50ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. પરંતુ બીજેપીએ ના પાડતાં કહ્યું હતું કે, આવી કોઈ ડીલ થઈ જ નથી. શિવસેના NDAથી અલગ થઈને લગભગ 20 વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો.

ત્યાર બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલે સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટી બીજેપીને આમંત્રણ આપ્યું હતું. બીજેપી કહ્યું હતું કે, તેમની પાસે પૂરતા ધારાસભ્યો નથી. ત્યાર બાદ શિવસેના પણ સરકાર બનાવવામાં સફળ રહી નહતી. જોકે રાજ્યમાં હાલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવવાની છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, બહુમતનો આંકડો ન હોવા છતાં પણ બીજેપી સરકાર બનાવી શકે છે. તમે વિચારી રહ્યાં હશો કે કેવી રીતે. તો આવો અમે તમને જણાવીએ ગણિત જેની મદદથી બીજેપી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે. બીજેપીની પાસે 105 સીટો છે. આ સિવાય તેનો દાવો છે કે, 15 અપક્ષ અને નાના દળોના ધારાસભ્યોનું તેમની પાસે સમર્થન છે. આવામાં આ આંકડો 120 થઈ જાય છે. બીજેપીની સરકાર ત્યારે જ બની શકે જ્યારે બહુમતનો આંકડો 120 થાય. બહુમતનો આંકડો 120 ત્યારે થશે જ્યારે 288 ધારાસભ્યોવાળા સદનમાંથી 49 ધારાસભ્યો રાજીનામું આપે. જ્યારે 49 ધારાસભ્યો રાજીનામું આપી દેશે તો વિધાનસભાનો આંકડો 239 થશે. 239 સીટોવાળી વિધાનસભામાં બહુમતનો આંકડો 120 થઈ જાય.