ચીનની કંપનીઓના કામ કરવાની રીત પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. થોડા મહિના પહેલા સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiની પૂછપરછ કરવામાં આવી હતી, તો હવે Huaweiના કેટલાક અધિકારીઓને આવકવેરા વિભાગ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે.


CEOને સમન્સ


આવકવેરા વિભાગની ફરિયાદ પર દિલ્હીની એક અદાલતે Huawei ટેલિકોમ્યુનિકેશન્સ (ભારત)ના CEO Li Xiongwei અને ત્રણ ટોચના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. ETના સમાચાર અનુસાર, કંપનીના CFO સંદીપ ભાટિયા, ટેક્સ હેડ અમિત દુગ્ગલ અને ટ્રાન્સફર પ્રાઈસિંગના ઈન્ચાર્જ Long Chengના નામ સામેલ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આરોપી કંપની અને તેના અધિકારીઓના અસહકારને કારણે આવકવેરા વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન અવરોધાયું હતું.


2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે


કોર્ટે કહ્યું કે આવકવેરા કાયદાની કલમ-275-બી અને કલમ-278-બી હેઠળ કંપની અને તેના અધિકારીઓ સામે સમન્સ જાહેર કરવા માટે પૂરતા દસ્તાવેજો છે. આ કલમોનું ઉલ્લંઘન કરનારને બે વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ ફટકારી શકાય છે. આદેશ આપતા પહેલા કોર્ટે કંપનીના ચાર એક્ઝિક્યુટિવ્સના નિવેદનોની સમીક્ષા કરી હતી. આ નિવેદનો આવકવેરા વિભાગ દ્વારા નોંધવામાં આવ્યા હતા.


કોર્ટે કહ્યું- આ નિવેદનો દર્શાવે છે કે આ અધિકારીઓએ જાણીજોઈને કેટલાક પ્રશ્નોના સાચા જવાબો આપ્યા નથી. બીજી તરફ અન્ય પ્રશ્નો અંગે આરોપીઓના જવાબો એકબીજા સાથે મેળ ખાતા નથી. આ આરોપીઓની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. આ દર્શાવે છે કે કંપનીના અધિકારીઓ કોઈને કોઈ રીતે ઈન્કમટેક્સ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માંગે છે અને કંપનીના ખાતા અને અન્ય દસ્તાવેજો સુધી પહોંચવા દેવા માંગતા નથી. કોઈપણ કારણ વગર આરોપીઓએ માહિતી આપવામાં વધુ પડતો સમય લીધો છે. જો કે હજુ સુધી આ અંગે કંપની કે કોઈ અધિકારી તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.


Huawei સાથે શું વાંધો છે?


વાસ્તવમાં આ મામલો Huawei દ્વારા ભારતની બહાર તેના સંબંધિત ક્લાયન્ટને ટેક્નિકલ સેવાના નામે વધેલી ચૂકવણી સાથે સંબંધિત છે. આ કેસમાં ઈન્કમટેક્સ વિભાગે ફેબ્રુઆરીમાં ગુરુગ્રામ અને કર્ણાટકમાં કંપનીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ સાથે કંપનીના સીઈઓના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 8 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન આવકવેરા વિભાગે ઘણા લેપટોપ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, હાર્ડ ડ્રાઈવ, મોબાઈલ ફોન અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા.