નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં જો તમે વાહન લઈને નીકળો અને તમારી પાસે પીયુસી નહીં હોય તો તમારે 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. દિલ્હી સરકારના પરિવહન વિભાગે શહેરમાં પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે અને પીયુસી વગર ફરતા વાહનચાલકોને મેમો આપવામાં આવી રહ્યા છે.


40 ટીમો કરાઇ તૈનાત

પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું, અમે દિલ્હીમાં ચાલીસ ટીમો તૈનાત કરી છે. જે પ્રમાણપત્ર ચેક કરશે અને પ્રદૂષણ ફેલાવતાં વાહનોને દંડ ફટકારશે. આ ટીમો દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા ખાસ જાહેર કરવામાં આવેલા 14 હોટસ્પોટ પર ધ્યાન આપશે. આ વિસ્તારોમાં આનંદ વિહાર, આરકે પુરમ, જહાંગીરપુરી, વિવેક વિહાર, માયાપુરી સામેલ છે. અધિકારીના કહેવા મુજબ હોટસ્પોર્ટ પર અમારી ટીમ, ડીસીપી અધિકારી, દિલ્હી ટ્રાફિક પોલીસ કર્મચારી મળીને તપાસ કરશે. જે વાહનોનું ચેકિંગ કરાશે તેમનું રેકોર્ડિંગ પણ કરાશે.

1000થી 10,000 રૂપિયા દંડ

દિલ્હીમાં સંશોધિત મોટર વાહન એક્ટ મુજબ પીયુસી પ્રમાણપત્ર નહીં રાખવા પર એક હજારથી લઈ દસ હજાર સુધી દંડની જોગવાઈ છે. આ એક્ટ સપ્ટેમ્બર 2019થી દિલ્હીમાં લાગુ થઈ ચુક્યો છે. દંડની રકમમાં દસ ગણો વધારો થવાથી  દિલ્હીના આશરે 1000 પીયુસી કેન્દ્રો પર અચાનક ભીડ વધી ગઈ હતી. તે મહિને પરિવહન વિભાગે 14 લાખ પીયુસી સર્ટિફિકેટ આપ્યા હતા.

ડોક્યુમેંટ્સની વધારવામાં આવી વેલિડિટી

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ, ફિટનેસ, પરમિટ, રજિસ્ટ્રેશન જેવા પરિવહન સાથે સંકળાયેલા તમામ ડોક્યુમેન્ટની માન્યતા 30 સપ્ટેમ્બર, 2020 સુધી લંબાવી દીધી છે. જોકે તેમ છતાં દિલ્હી પરિવહન વિભાગના અધિકારીએ કહ્યું, એક્સપાયર્ડ પીયુસી પ્રમાણપત્રવાળા વાહનોને કોઈ છૂટ નહીં આપવામાં આવે.

મહંત નૃત્ય ગોપાલ દાસનો કોરોના પોઝિટિવ, અયોધ્યા ભૂમિ પૂજન કાર્યક્રમમાં મોદી સાથે થયા હતા સામેલ

સુરતઃ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા ભરાયા પાણી, ખાડીનું પાણી શહેરમાં ફરી વળ્યું

મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તમામ સ્કૂલ-કોલેજો ખોલી દેશે ? જાણો સરકારે શું કહ્યું ?