ચેન્નઈઃ આવકવેરા વિભાગે બુધવારે તમિલનાડુના કોડાના અને સિરુથવૂરમાંથી પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નજીકની સહયોગી શશિકલાની આશરે 2000 કરોડ રૂપિપાની સંપત્તિ જપ્ત કરી છે. ઈન્કમ ટેક્સ વિભાગે ગત મહિને પણ શશિકલાની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.


ન્યૂઝ ટ્રેકે એક દૈનિકના અહેવાલનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, સંપત્તિમાં જયલલિતાના વેદ નિલયમ નિવાસની સામે આવેલી જમીન પણ સામેલ છે. સંપત્તિનું અધિગ્રહણ શ્રી હરિ ચંદાના એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાવવામાં આવ્યું હતું. જેના નિર્દેશક શશિકલાના સંબંધી છે. તપાસ બાદ અધિકારીએ કહ્યું કે, કંપનીનો કોઈ વ્યવસાય નહોતો અને કોઈ આવક પણ નહોતી.

આ પહેલા નવેમ્બરમાં ઈન્કમ ટેક્સ વિભાગે શશિકલાની 1500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હોવાના અહેવાલ આવ્યા હતા. વીકે શશિકલા અને તેના સંબંધીના માલિકીની સંપત્તિ પર દરોડા પાડતાં એજન્સીને અનેક દસ્તાવેજો મળ્યા હતા. આ સંપત્તિ ચેન્નઈ, કોયમ્બટૂર તથા તમિલનાડુમાં આવેલી હતી. કથિત રીતે આ સંપત્તિનો ઉલ્લેખ શશિકલા કે તેના પરિવાર સંપત્તિ જાહેર કરતી વખતે નહોતો કર્યો. આ સંપત્તિને ઓપરેશન ક્લીન મની અંતર્ગત જપ્ત કરાઈ હતી.