India Covid Update Health Ministry:  વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનું કારણ છે. શિયાળાની શરૂઆત સાથે જ ભારતમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. આ પછી કોરોનાના કેસમાં વધારો થતા લોકોની ચિંતા વધી હતી.


સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ભારતમાં એક દિવસમાં કોરોનાના 148 નવા કેસ નોંધાયા છે. શનિવારે (9 ડિસેમ્બર)ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. સવારે 8 કલાકે અપડેટ કરાયેલા આંકડા મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ચિંતાજનક છે.


4.50 કરોડ લોકો સંક્રમિત થયા છે


આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે.


મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થયા છે


હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જે રાહતની વાત છે. દેશમાં કોરોનામાં સ્વસ્થ થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે કોરોના પછી ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ ફેલાયો છે અને દેશમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.


ચીનમાં ન્યૂમૉનિયાના વધતા જતા કેસોએ ભારતમાં પણ ચિંતા વધારી દીધી છે, ભારતમાં પણ સરકારી તંત્ર હવે હરકતમા આવ્યુ છે. આ બિમારીને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલોની તૈયારીના પગલાંની તાત્કાલિક સમીક્ષા કરવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે દર્શાવે છે કે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.


આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 'COVID-19ના સંદર્ભમાં સંશોધિત સર્વેલન્સ સ્ટ્રેટેજી માટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ' લાગુ કરવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં જિલ્લા અને રાજ્યના અધિકારીઓ ILI/SARI (ઈન્ફલ્યૂએન્ઝા જેવી બીમારી/ગંભીર તીવ્ર શ્વસન ચેપ)ના કેસ પર નજર રાખશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય કારણોસર ખાસ કરીને ઈન્ફલ્યૂએન્ઝા, માયકૉપ્લાઝમા ન્યૂમૉનિયા, SARS-CoV-2 જેવા કારણોને લીધે શ્વસન સંબંધી રોગોમાં વધારો થઈ રહ્યો છે.