નવી દિલ્લીઃ ઈઝરાયલ અને ભારતના સંશોધકોએ એવી કીટ બનાવી છે કે જે માત્ર 40 સેકન્ડમાં કોઈ વ્યક્તિને કોરોના છે કે નહીં એ કહી દેશે. આ ટેસ્ટ કરવા માટે વ્યક્તિએ ટ્યુબમાં માત્ર ફૂંક જ મારવાની રહેશે. કોઈ વ્યક્તિ ફૂંક મારે પછી 40 સેકન્ડમાં જ તેને કોરોના છે કે નહીં તેવું જણાવતી આ કીટ એક મહિના કરતાં ઓછા સમયમાં જ બજારમાં આવી જશે તેમ ભારત ખાતે ઈઝરાયેલના રાજદૂતે જણાવ્યું હતું. એક મિનિટની અંદર પરીણામ આપતી આ તપાસ કીટ ભારત અને ઈઝરાયેલે સંયુક્તરૂપે વિકસીત કરી છે અને ભારતમાં તેનું ઉત્પાદન થશે.


ઈઝરાયેલના રાજદૂત રોન મલ્કાએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને કોરોના સંક્રમણ છે કે નહીં તે જાણવા માટે કીટથી 30થી 50 સેકન્ડમાં પરીણામ આવી જશે. તેમણે કહ્યું કે ત્વરિત તપાસ કીટ યોજના અંતિમ તબક્કામાં છે. તેમાં બે-ત્રણ સપ્તાહથી વધુ સમય ન લાગવો જોઈએ. ભારત આ ત્વરિત તપાસ કીટ માટે ઉત્પાદન કેન્દ્ર બનશે તથા બંને દેશ કોવિડ-19 મહામારીને અટકાવવા માટે રસી વિકસાવવા પર પણ સહયોગ કરશે.

તેમણે ઉમેર્યું કે આ નવી ત્વરિત તપાસ નિર્ણાયક છે અને ભારત અને ઈઝરાયેલ વચ્ચે વિજ્ઞાાન અને ટેક્નોલોજીમાં કેટલો સાર્થક સહયોગ થઈ શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ અભિયાનને અમે 'ખુલ્લુ આકાશ' નામ આપ્યું છે. કીટનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય મહત્વના સ્થળો પર કરાશે. ખર્ચની દૃષ્ટિએ તે ઘણી સસ્તી હશે. મલ્કાએ જણાવ્યું કે ભારતીય અને ઈઝરાયેલી સંશોધકોએ ચાર વિવિધ પ્રકારની ટેક્નોલોજી માટે ભારતમાં મોટી સંખ્યામાં નમૂના એકત્ર કર્યા પછી પરીક્ષણ કર્યા છે. તેમાં શ્વાસની તપાસ કરવી અને અવાજની તપાસ કરવાનો પણ સમાવેશ થાય છે, જેમાં કોવિડ-19ની ત્વરિત શોધ કરવાની ક્ષમતા છે. આ સિવાય આઈસો થર્મલ તપાસ પણ છે, જેના મરાફત લાળના નમૂનામાં કોરોનાની હાજરીની ઓળખ કરી શકાય છે. અન્ય એક તપાસ પોલી-એમીનો એસીડ આધારિત છે, જે કોવિડ-19 સંબંિધત પ્રોટીનને અલગ કરે છે.