નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,654 નવા કેસ નોંધાયા છે. જ્યારે 41,678 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 640 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં 3,99,436 એક્ટિવ કેસો છે. તેમજ અત્યાર સુધીમાં 3,06,63,147 લોકોએ કોરોનાને મ્હાત આપી છે તેમજ કુલ  4,22,022 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. તો અત્યાર સુધીમાં દેશમાં 44,61,56,659નું રસીકરણ કરવામાં આવ્યું છે. 






ભારતમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે, તેમ છતાં દેશના કેટલાક એવા જિલ્લા છે જ્યાં રોજના 100થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 62 જિલ્લામાં રોજના 100થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ કેસ જે તે જિલ્લાના ખૂબ મર્યાદીત વિસ્તારમાં જ નોંધાઈ રહ્યા છે. કેરળના સાત, મણિપુરના પાંચ અને મેઘાલયના ત્રણ સહિત કુલ 22 જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાની વાત છે.


 


મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 29,689 નવા કેસ નોંધાયા અને 415 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 42,363 લોકો કોરોનાથી ઠીક થયા છે.


 






44 કરોડથી વધારે રસીના ડોઝ અપાયા


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 26 જુલાઈ સુધી 44 કરોડ 19 લાખ કરતાં વધારે કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 57 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.  ICMRના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 17 લાખ 20 હજાર 110 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જે સાથે કુલ સેમ્પલ ટેસ્ટનો આંક 45 કરોડ 91 લાખ 64 હજારને પાર થયો છે.



દેશમાં કોરોનાનો ભોગ બનવાના અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોમાં કોરોના વાઈરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિકસી છે તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. એઈમ્સના કોવિડ-૧૯ આઈસીયુનું સંચાલન કરી રહેલા ડૉ. યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તે મહત્વનું છે. જોકે, લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કોરોનાના કેસ ઓછા છે તેમ માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતાં મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ છે. ભારતમાં પણ કેસોમાં હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે.