ઈન્દોર: મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઈન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઈ ગઈ હતી. પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઈ, પૌત્ર અને મુંબઈમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં.

બની રહેલા ટાવરમાં લગાવવામાં આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં. ત્યારે લિફ્ટ 70 ફુટની ઉંચાઈ પરથી અચાનક પલટી હતી અને બધાં નીચે પટકાયા હતા. મંગળવાર સાંજે 5:30 કલાકે થયેલી આ દુર્ઘટનામાં 53 વર્ષના ઉદ્યોગપતિ પુનીત, તેમની 27 વર્ષની પુત્રી પલક, 28 વર્ષના જમાઈ પલકેશ અગ્રવાલ, 3 વર્ષનો પૌત્ર નવ, મુંબઇથી આવેલ પલકેશના 40 વર્ષના બનેવી ગૌરવ અને 11 વર્ષનો પુત્ર આર્યવીરના મોત નિપજ્યું હતું.

જ્યારે ગૌરવની પત્ની નિધિની હાલત ગંભીર છે. પુનીત અગ્રવાલની પત્ની દુર્ઘટના સમયે નીચે અને પુત્ર નિપુન ટાવર પર હતા જોકે બંનેની નજર સામે આ દુર્ઘટના ઘટી હતી. પુત્રવધૂ સાક્ષી ગર્ભવતી હોવીથી ઘરે જ હતી.