નવી દિલ્હીઃ INX મીડિયા મામલામાં દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. ચિદંબરમ હવે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં રહેશે. ચિદંબરમે જેલમાં અલગ સેલની માંગ કરી હતી. તે સાથે જ તેમણે Z શ્રેણીની સુરક્ષાની માંગણી કરી હતી. તિહાડ જેલ વહીવટીતંત્રના સીનિયર અધિકારીઓએ કહ્યું કે, ચિદંબરમ તિહાડ આવશે તો તેમને સામાન્ય કેદીની જેમ જેલમાં રાખવામાં આવશે. તિહાડ જેલનું વહીવટી તંત્ર કોર્ટના ઓર્ડરની રાહ જોઇ રહ્યું છે ત્યારબાદ નક્કી થશે કે તેમને જેલમાં ક્યા રાખવામાં આવશે.


કહેવામાં આવી રહ્યું છે કે ચિદંબરમને સાત નંબરની જેલમાં રાખવામાં આવશે કારણ કે આ જેલમાં આર્થિક ગુનેગારોને રાખવામાં આવે છે. ચિદંબરમના દીકરા કાર્તિને પણ અહી રાખવામાં આવ્યો હતો. સોલિસિટર જનરલે આશ્વાસન આપ્યું હતું કે જેલમાં ચિદંબરમને યોગ્ય સુરક્ષા આપવામાં આવશે. કોર્ટે કહ્યું કે, જેલમાં ચિદંબરમને દવાઓ આપવામાં આવે. નોંધનીય છે કે ચિદંબરમની સીબીઆઇ કસ્ટડી ખત્મ થયા બાદ તેમને  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ કોર્ટમાં કહ્યુ હતું કે ચિદંબરમ એક શક્તિશાળી નેતા છે અને તેમને છોડવા જોઇએ નહીં.

ચિદંબરમ તરફથી રજૂ થયેલા વકીલ કપિલ સિબ્બલે જ્યુડિશિયલ કસ્ટડીનો વિરોધ કર્યો હતો. પોતાની દલીલમાં તેમણે કહ્યું કે, ચિદંબરમ પર તપાસને પ્રભાવિત કરવાનો કોઇ આરોપ નથી. આ સાથે તેમણે કહ્યુ કે ચિદંબરમ આઇએનએક્સ મીડિયા સંબંધિત મની લોન્ડ્રરિંગ મામલામાં ઇડીની કસ્ટડીમાં જવા તૈયાર છે.