નવી દિલ્હીઃ એન્ટી કરપ્શન બ્યૂરોએ જમ્મુ કાશ્મીર બેંકમાં 1100 કરોડ રૂપિયાના કૌભાંડને લઈને ખુલાસો કરતાં બેંકના પૂર્વ ચેરમેન મુશ્તાક અહમદ શેખ સહિત ડઝન જેટલા અધિકારીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેની સાથે જ એસીબીની ટીમોએ શનિવારે એક સાથે દિલ્હી, શ્રીનગર અને જમમુમાં 16 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એસીબીને કેસ સાથે જોડાયેલ મહત્ત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. આગળની તપાસ માટે સીબીઆઈએ દિલ્હીમાં ત્રણ ટીમની રચના કરી છે.




એસીબી દ્વારા એફઆઈઆર નોંધાયા પછી જમ્મુ-કાશ્મીર બેન્કના ભૂતપૂર્વ ચેરમેન  મુશ્તાક અહેમદ શેખના કાશ્મીરમાં નવ, જમ્મુમાં ચાર અને દિલ્હીમાં ત્રણ સહિત 16 સ્થળો પર એસીબીએ દરોડા પાડયા હતા.એસીબીએ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લગભગ એક ડઝન જેટલા આરોપીઓના સ્થળ પર પણ દરોડા પાડયા હતા તેમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું. એસીબીના પ્રવક્તાએ જણાવ્યું કે આરઈઆઈ એગ્રોના ચેરમેન સંજય ઝુનઝુનવાલા અને વાઈસ પ્રેસિડેન્ટ તથા એમડી સંદીપ ઝુનઝુનવાલાના દિલ્હી સ્થિત સ્થળો પર પણ શોધખોળ ચાલી રહી છે. એસીબીએ આ કેસમાં ત્રણ ટીમ બનાવી સઘન તપાસ હાથ ધરી છે.

એસીબીની પ્રાથમિક તપાસ મુજબ જમ્મુ અને કાશ્મીર બેન્કની મુંબઈની માહિમ અને દિલ્હીની અસાંસલ પ્લાઝાએ વર્ષ 2011 અને 2013 વચ્ચે નકલી દસ્તાવેજોના આધારે આરઈઆઈ એગ્રોને 800 કરોડ રૂપિયાની લોન આપી હતી. ત્યાર બાદ વર્ષ 2014માં કંપની એનપીએ બની ગઈ હતી. આથી બેન્કને 1,124.45 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.