શ્રીનગરઃ યુરોપિયન સંઘના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીર પ્રવાસ પર છે ત્યારે કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન તરફથી કરાયેલી ફાયરિંગમાં એક નાગરિકનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા છે. આ વચ્ચે જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર ગયેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ કહ્યું કે, કલમ 370 ભારતનો આંતરિક મામલો છે અને અમે ભારતની સાથે છીએ. તેઓએ કહ્યું કે, ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને સરકાર પાસે ખૂબ આશાઓ છે. કાશ્મીરના લોકો શાંતિ અને વિકાસ ઇચ્છે છે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુરોપિયન યુનિયનના સાંસદોએ મંગળવારે આતંકીઓ કરેલી પાંચ મજૂરોની ઘટનાની નિંદા કરી હતી. નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં મંગળવારે  આતંકવાદીઓએ પશ્વિમ બંગાળના પાંચ મજૂરોની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

સાંસદોએ કહ્યુ કે, અમારા પ્રવાસને અલગ રીતે રજૂ કરવામાં આવી. અમે નાઝીવાદી હોત તો પ્રજા અમને પસંદ ના કરતી. અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ઇચ્છીએ છીએ. કાશ્મીર પર પશ્વિમ મીડિયાનું વલણ યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે ઇયુ સાંસદો બીજા દિવસે પણ કાશ્મીર પ્રવાસ પર છે. કલમ 370 હટ્યા બાદ પ્રથમવાર વિદેશી પ્રતિનિધિમંડળ કાશ્મીરના પ્રવાસ પર છે.