ભોપાલ: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે રાજ્યના હેલ્થ વર્કસને જાહેર કરેલો એ આદેશ પરત લઈ લીધો છે, જેમાં હેલ્થ વર્કસને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઓછામાં ઓછા એક વ્યક્તિની નસબંધી કરાવે અને જો તેમ નહી કરવામાં આવે તો તેમને બળજબરી વીઆરએસ આપી દેવામાં આવશે અને તેનું વેતન પણ કાપ મુકવામાં આવશે. સરકારના આ આદેશ બાદ હાહાકાર મચી ગયો હતો. નસબંધીના આદેશ પર વિવાદ બાદ કમલનાથ સરકારે આદેશ પરત લેવાનો નિર્ણય કર્યો છે.


અગાઉ રાજ્ય સરકારે તેના આદેશમાં કહ્યું હતું કે કર્મચારીઓને લક્ષ્યાંક પૂરો નહીં કરવા પર નો-વર્ક, નો-પે આધાર પર વેતન આપવામાં આવશે નહીં. આ ઉપરાંત કર્મચારીઓને ફરજિયાતપણે સેવામાંથી નિવૃત્ત કરી દેવાની પણ વાત આ આદેશમાં કહેવામાં આવી હતી. ભૂતપુર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ સરકારના આ આદેશની તુલના ઈમર્જન્સી સમયે સંજય ગાંધીની નસબંધી અભિયાન સાથે કરી હતી.

સરકારના આદેશ બાદ MPW અને પુરુષ સુપરવાઈઝરોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. તેમનું કહેવું છે કે તેઓ જિલ્લામાં ઘરે ઘરે જાગૃત્તિ અભિયાન તો ચલાવી શકે છે, પણ કોઈને બળજબરીપૂર્વક નસબંધી ઓપરેશન કરાવી શકે નહીં.