નવી દિલ્લીઃ સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ બે દિવસ વિપક્ષના હોબાળાને કારણે કાંઇ પણ કામ થઇ શક્યુ નહોતું. વિપક્ષ મોદી સરકારે લીધેલા નોટબંદીના નિર્ણયને પાછો ખેંચવાની માંગણી સાથે વિરોધ કરી રહ્યો છે. સંસદ શરૂ થયાના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ સંસદનું કામ થવા દે.


મોદીએ વિપક્ષને કહ્યુ હતું કે, સરકાર નોટબંદી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. નોટબંદી પર સંસદના બંન્ને સદનોમાં વિપક્ષો સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે નકલી નોટ, જીએસટી, સંરક્ષણ કરાર પર સવાલો કરવામાં આવી શકે છે. વિપક્ષની માંગણી પર ગૃહમંત્રી રાજનાથ સિંહ બંન્ને સદનોમાં સરકારનો પક્ષ મુકી શકે છે. તેઓ 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ આતંકીઓ, અલગતાવાદીઓ, ડી કંપની અને નક્સલીઓની કેવી રીતે કમર તૂટી ગઇ છે તેના પર વિપક્ષને માહિતી આપશે.