નવી દિલ્હી: યસ બેન્કમાં સામાન્ય લોકોની સાથે સાથે પુરી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના પણ પૈસા ફસાયા છે. યસ બેન્ક આર્થિક સંકટમાં હોવાની ખબર ફેલાતા જ ઓડિશાના પુરી ધામમાં દોડધામ મચી ગઈ છે. આરબીઆઈના નવા આદેશ બાદ ભક્તો અને પૂજારી બન્ને ચિંતિત છે. યસ બેન્કની એક શાખામાં ભગવાન જગન્નાથના નામે ખોલવામાં આવેલા એકાઉન્ટમાં 545 કરોડ રૂપિયા જમા છે.


ઓડિશામાં જગન્નાથ મંદિરમાં દર વર્ષે કરોડોનું દાન આવે છે. એવામાં મંદિરના પૈસા પણ ફસાયા હોવાના સમાચરથી મંદિરની બહાર પૂજારીઓ જમા થવા લાગ્યા છે. લોકો પણ પહોંચી રહ્યાં છે. તમામ લોકો એક જ ચર્ચા કરી રહ્યાં છે કે હવે શું થશે ? જગન્નાથ મંદિરના કામકાજ કઈ રીતે ચાલશે. લોકોએ વડાપ્રધાન મોદીને મંદિરના પૈસા આપાવાની માંગ કરી છે.


આ મામલે ઓડિશાના મંત્રી પ્રતાપ જેનાએ કહ્યું કે, જગન્નાથ મંદિરના 592 કરોડ રૂપિયા યસ બેન્કમાં જમાં છે. માર્ચ 2029માં ફિક્સ ડિપોઝિટની અવધિ પૂરી થઈ જશે. તેના બાદ મંદિર પ્રશાસન પૈસા ઉપાડીને અન્ય રાષ્ટ્રી બેન્કમાં જમા કરાવી દેશે. પૈસા ઉપાડવા પર માત્ર સેવિંગ એકાઉન્ટ પર પ્રતિબંધ છે.


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બેન્ક પર એક મહિનાની અંદર 50 હજાર રૂપિયા ઉપાડવાની લિમિટ લગાવતા તેના ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી. દેશના તમામ શહેરોમાં યસ બેન્કના એટીએમ બહાર પૈસા ઉપાડવા માટે લોકોએ લાઇનો લગાવી હતી. શુક્રવારે મુંબઇ અને અમદાવાદમાં યસ બેન્કના ગ્રાહકો પરેશાન જોવા મળ્યા હતા. તેઓ સવારે સવારે એટીએમ પહોંચ્યા પરંતુ તેઓ નિરાશ થયા હતા.

 યસ બેન્કના સંકટ પર  નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું ?

આ વચ્ચે યસ બેન્ક સંકટ પર કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે યસ બેન્કના ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમના પૈસા  ડૂબવા નહી દઇએ. બેન્કના ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. ગ્રાહકોને ચિંતિત થવાની જરૂર નથી. રિઝર્વ બેન્કના અધિકારીઓ સમાધાન કાઢવા માટે મહેનત કરી રહ્યા છીએ.