ભોપાલઃ શિવરાજ સિંહ ચૌહાનના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં નવી સરકાર બન્યાના 29 દિવસ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. આજે પાંચ મંત્રીએ શપથ લીધા છે. જેમાં બે સિંધિયા જૂથના છે.


સિંધિયા જૂથમાંથી તુલસી સિલાવટ અને ગોંવિદ રાજપૂત મંત્રી બન્યા છે. આ બંને લોકોએ કમલનાથ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.

મધ્યપ્રદેશમાં 23 માર્ચે શિવરાજ સિંહ ચૌહાન ચોથી વખત સીએમ બન્યા હતા પરંતુ તે પછી લોકડાઉનની જાહેરાત થયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શક્યુ નહોતું. તુલસી સિલાવટ, ગોવિંદ રાજપૂત ઉપરાંત નરોત્તમ મિશ્રા, મીના સિંહ અને કમલ પટેલે પણ મંત્રી પદના શપથ લીધા છે. મંત્રીમંડળ વિસ્તરણમાં વિસ્તારના પ્રતિનિધિત્વનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.


નરોત્તમ મિશ્રાનો ગ્વાલિયર-ચંબલનું અને તુલસી સિલાવટ માલવાનું પ્રતિનિધિત્વ કરે છે. ગોવિંદ રાજપૂત બુંદેલખંડથી છે, મીના સિંહ મહાકૌશલ અને વિંધ્ય તથા કમલ પટેલ નિમાંડ વિસ્તારમાંથી આવે છે. ઉપરાંત જાતીય સમીકરણને પણ મહત્વ આપવામાં આવ્યું છે.