મુંબઇઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે બુધવારે રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને 21 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય અને સામાજિક જીવનથી હંમેશા માટે નિવૃત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાટિલે કોલ્હાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, અમે એ સુનિશ્વિત કરીશું કે એકવખત વિધાનસભાના પરિણામ આવ્યા બાદ શરદ પવાર સામાજિક અને રાજકીય જીવનથી સ્થાયી રીતે સેવાનિવૃત થઇ જાય. તાજેતરના મહિનામાં પાર્ટીના અનેક નેતાઓએ સતાધારી પાર્ટીમાં સામેલ  થવાને લઇને નિશાન સાધતા પાટિલે કહ્યું કે, તેમાં કોઇ આશ્વર્ય નહી થાય કે જો પવાર પરિવારની આવનારી પેઢીઓ ભાજપમાં સામેલ થઇ જશે.


78 વર્ષીય પવારના ભાઇના પૌત્ર રોહિત પવાર આ વખતે અહમદનગર જિલ્લાના કરજાત-જામખેડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. જ્યારે અજિત પવારના દીકરા પાર્થને માવલ લોકસભા બેઠકમાં શિવસેનાના શ્રીરંગ બનેરૂ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપ અધ્યક્ષનું આ નિવેદન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત પાર્ટીના લગભગ તમામ ટોચના નેતાઓના નિવેદન અનુરૂપ છે. ફડણવીસ સતત કહી રહ્યા છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં પવારના પ્રભાવને 2024 સુધી સમાપ્ત કરી દેવામાં આવશે. પાટિલ પુણેના કોથરૂડથી ચૂંટણી લડી રહ્યા છે અને અહી ગઠબંધનના પોતાના સાથી શિવસેનાના પ્રકાશરાવ આબિટકારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા જે કોલ્હાપુરની રાધાનગરીથી ફરીવાર વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે.