મુંબઈ: મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાઓના ફોન ટેપિંગનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ફોન ટેપિંગ ચૂંટણીના પરિણામ આવ્યા પછી સરકાર બનાવવાના પ્રયત્ન દરમિયાન કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ચ્સ અનુસાર, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના ફોન ટેપ કરવામાં આવ્યા હતા.


મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાઓના ફોન ટેપિંગનો મામલો સામે આવ્યા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, હું બાળ ઠાકરેનો ચેલો છું, જે પણ કરું છું જાહેરમાં કરુ છું.


મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અનિલ દેશમુખે આ વિશે માહિતી આપતા કહ્યું છે કે, મહારાષ્ટ્ર ચૂંટણી સમયે બિનભાજપ નેતાઓના ફોન ટેપ કરવામાં આવતા હતા. હવે આ ગંભીર મુદ્દાના તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ સંજય રાઉતે એક સીનિયર બીજેપી નેતાની વાત કરતાં કહ્યું છે કે, તેમને પહેલાં જ આ વિશે ચેતવવામાં આવ્યા હતા.

રાઉતે તેમના ટ્વિટર પર લખ્યું છે કે, ઘણાં સમય પહેલાં જ મને બીજેપી સરકારના એક મંત્રીએ જણાવ્યું હતું કે, તમારો ફોન ટેપ થઈ રહ્યો છે, ત્યારે મેં તેમને કહ્યું હતું કે, જે પણ મારી વાતચીત સાંભળવા માંગે છે તે સાંભળી શકે છે. હું બાળા સાહેબનો ચેલો છું. હું કઈ પણ છુપાવીને નથી કરતો.

આ મુદ્દે હવે મહારાષ્ટ્રના ગૃહ વિભાગને તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, ફોન ટેપિંગની વાત સાચી છે તો આ સરકારી મશીનરીનો દુરઉપયોગ છે.