મુંબઈ: કોરોના વાયરસની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રહેલા મહારાષ્ટ્રમાં અનલોકની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજે ઉદ્ધવ સરકારે રાજ્યના 36 જિલ્લાઓમાંથી 18 જિલ્લાઓમાં લોકડાઉન જેવા પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે.


મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે જે જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે ત્યાં સંપૂર્ણ રીતે અનલોક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટમ મોલ, ગાર્ડન, થિયેટર, ફિલ્મોના શૂટિંગ આ તમામ વસ્તુઓની મંજૂરી આપવામાં આવી છે. 



જે જિલ્લાઓમાં અનલોક કરવામાં આવ્યું છે તેમાં ઔરંગાબાદ, ભંડારા, બુલઢાણા, ચનાદરપૂર, ઘુલે,ગોંદિયા, જાલના, લાતૂર, નાગુપર, નાંદેડ, નાશિક, પરભણી, થાણે, વર્ધા, વાસીમ, યવતમાલ સામેલ છે. દર શુક્રવારે કલેક્ટર પોતાના જિલ્લાનું રિવ્યૂ કરશે. 


મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 15,169 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 57,76,184 લોકો કોરોના સંક્રમિત થયા છે અને તેમાંથી 96,751 લોકોના મોત થયા છે. 


મહારાષ્ટ્રમાં બુધવારે 29,270 દર્દીઓને કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળી હતી. આ સાથે જ પ્રદેશમાં સંક્રમણથી સ્વસ્થ થતા લોકોની કુલ સંખ્યા 54,60,589 થઈ ગઈ છે. રાજ્યમાં હાલના સમયે 2,16,016 સારવાર હેઠળ છે.


દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. હાલમાં દરરોજ સવા લાખથી વધારે કેસ રોજ આવી રહ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 34 હજાર 154 નવા કોરોના કેસ આવ્યા અને 2887 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 11 હજાર 499 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 80232 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 32 હજાર 788 નવા કેસ સામે આવ્યા હતા અને 3207 લોકોના મોત થયા હતા.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.18 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 7 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.