Maharashtra : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અને રાજકીય સંકટ અંગે કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે આ મામલે હાથ ઉપર કરી દીધા છે અને આ સમગ્ર મામલાને શિવસેનાનો આંતરિક મામલો ગણાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા અલકા લાંબાએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અંગે કોંગ્રેસના વિચારો રજૂ કર્યા હતા. 


ભવિષ્યમાં શું થશે તે નક્કી નથી : કોંગ્રેસ 
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલકા લાંબાએ જણાવ્યું હતું કે આ સંકટ શિવસેનાની અંદર ઊભું થયેલું સંકટ છે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં હતી અને આજે પણ છે ભવિષ્યમાં શું થશે તે નક્કી નથી. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે લોકતંત્રની હત્યા કરવી પડે તો પણ ભાજપ પાછળ નહીં હટે. આસામમાં પુર આવ્યું છે. આસામની પ્રજા પૂરમાં ડૂબી છે ત્યારે આસામની ભારતીય જનતા પાર્ટીની સરકાર ફાઈવ સ્ટાર હોટલનું પોલિટિક્સ કરી રહી છે


અમારી સરકાર નથી, અમારા સમર્થનવળી સરકાર : કોંગ્રેસ 
મહારાષ્ટ્રના રાજકીય સંકટને શિવસેનાનો આંતરિક મામલો ગણાવતા અલકા લાંબાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં અમારી સરકાર નથી, અમારા સમર્થનવાળી સરકાર છે.  જે સંકટ ઉભુ થયું છે તે શિવસેનાની અંદર ઉભુ થયું છે. કોંગ્રેસ પહેલા કરતા મજબૂત સ્થિતિમાં છે અને સ્થિતિ પર કોંગ્રેસની  નજર છે. 


શિવસેના મજબૂત સ્થિતિમાં : કોંગ્રેસ 
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલકા લાંબાએ કહ્યું કે શિવસેના દાવો કરે છે કે તે મજબૂત સ્થિતિમાં છે. સરકારને કોઈ ખાતરો નહિ થાય, ભાજપ સરકારને અસ્થિર કરે છે. ભાજપે વિપક્ષમાં  બેસીને સરકારને મુદ્દાઓ પર ઘેરવી જોઈએ પરંતુ તેમને વિપક્ષમાં નથી બેસવું. મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં શું થશે તે નક્કી નથી તેવું નિવેદન અલકા લાંબાએ આપ્યું હતું.