મુંબઈઃ સરકાર માટે અજીત પવાર પાસેથી સમર્થન લેવા મુદ્દે પ્રથમ વખત ભાજપની અંદર વિરોધનો સૂર ઉભો થયો છે. મહારાષ્ટ્ર બીજેપીની દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ કહ્યું કે, બીજેપીએ અજીત પવારનું સમર્થન લેવું નહોતું જોઈએ. તેના પર ગોટાળાના ગંભીર આરોપ હતા. આ સ્થિતિમાં ફેંસલો ઠીક નહોતો.


ખડસેએ કહ્યું,  મારો વ્યક્તિગત વિચાર છે કે બીજેપીએ અજીત પવાર પાસેથી સમર્થન લેવું નહોતું જોઈથું. તે સિંચાઈ કૌભાંડમાં આરોપી છે અને ઘણા આરોપોનો સામનો કરી રહ્યા છે. આ કારણે અમારે તેની સાથે ગઠબંધન નહોતું કરવું જોઈતું. મેં ઘણા દિવસો પહેલા કહ્યું હતું કે આવી ઘટનાઓ બની જાય છે.

ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન આપતાં કહ્યું, તે એક સ્થિર સરકાર આપશે. મહારાષ્ટ્રમાં અસ્થિરતાને એક મહિનો થઈ ગયો. હવે જે પણ સરકાર આવે તેની પાસેથી સારું અને સ્થિર શાસન આપશે તેવી અપેક્ષા છે.


એબીપી ન્યૂઝ સાથે એક્સક્લુસિવ વાત કરતા અજીત પવારે કહ્યું, મારા માટે પાર્ટી જે પણ નક્કી કરશે હું કરીશ. હું કાલે પણ એનસીપીમાં હતો, છું અને રહીશ. અમારા નેતા શરદ પવાર સાહેબ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મને જે બતાવશે હું કરીશ.