મુંબઈ: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 19 હજારને પાર પહોંચી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોવિડ 19 સંક્રમણના 1,089 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19063 પર પહોંચી છે. અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 731 લોકોના મોત થયા છે.


મહારાષ્ટ્રમાં મુંબઈ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધીમાં 12142 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 462 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3470 લોકો સ્વસ્થ થયા છે.

મહારાષ્ટ્ર વધી રહેલા કેસને લઈને શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વીકાર કર્યો કે વાયરસને નિયંત્રિત કરવામાં આવ્યો છે પરંતુ શ્રૃંખલા ચેઈન તોડવામાં રાજ્ય અત્યાર સુધી સફળ નથી થયું.

તેમણે કહ્યું લોકડાઉન 17 મે બાદ વધારવામાં આવશે કે નહી એ તેના પર નિર્ભર કરે છે કે લોકોએ અનુશાસન બતાવ્યું અને કેટલા નિયમોનું પાલન કર્યું. ઠાકરેએ કહ્યું, એક દિવસે આપણે આ લોકડાઉનમાંથી બહાર નિકળવું જ પડશે. આપણે હંમેશા આ રીતે ન રહી શકીએ. પરંતુ તેમાંથી જલ્દી નિકળવા માટે તમારે નિયમોનું પાલન કરવું પડશે.