મુંબઈ: મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે એ પ્રશ્નનો જવાબ હજી સુધી મળ્યો નથી. શિવસેના અને ભાજપના નેતાઓના સરકાર બનાવવાના દાવાઓ વચ્ચે મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મારી પાસે સારા સમાચાર છે. મારું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. મને મહારાષ્ટ્રની સેવા કરવાની તક મળી. હું મહારાષ્ટ્ર, મોદી, શાહ, નડ્ડા અને અમારા તમામ નેતાઓનો આભારી છું. સાથે ફડણવીસે સહયોગીઓનો પણ આભાર માન્યો હતો.


ફડણવીસે કહ્યું કે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદને લઇને કોઇ વાત થઇ નથી. મારી સામે ક્યારેય પણ અઢી વર્ષ મુખ્યમંત્રી પદ પર ચર્ચા થઇ નથી. ઉદ્ધવે સરકાર બનાવવાની વાત કરી હતી. મહારાષ્ટ્રમાં જનાદેશ ગઠબંધનને મળ્યો હતો.


ઉદ્ધવ ઠાકરે આજે પત્રકાર પરિષદ ફડણવીસ પર પલટવાર કરતા કહ્યું, શિવસેના ખોટુ બોલનારાઓની પાર્ટી નથી. મે ક્યારેય પીએમ મોદી પર આરોપ નથી લગાવ્યા. હું ભાજપવાળો નથી. ખોટુ નથી બોલતો. હું ખોટુ બોલનારાઓ સાથે વાત નથી કરતો. મે ક્યારેય દુષ્યંત ચૌટાલા જેવી ભાષાનો પ્રયોગ નથી કર્યો. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અલ્ટિમેટમ આપતા કહ્યુ- સરકાર બનાવો નહી તો વિકલ્પ ખુલ્લા છે.


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મુખ્યમંત્રી પદને લઈને 50-50 પર સહમતી બની હતી. મારે તેના પર સફાઈ આપવાની જરૂર નથી. શિવસેનાના મુખ્યમંત્રી હોવાના સપનાને પૂર્ણ કરવા માટે કોઈની મદદની જરૂર નથી. અમિત શાહે કહ્યું હતું જેમના વધારે ધારાસભ્યો તેમનો મુખ્યમંત્રી, મે તેમને કહ્યું હતું કે હું નહી માનીશ. દેવેંદ્ર ફડણવીસે અમિત શાહનું નામ લઈ અઢી વર્ષ મુખ્યમંત્રી બનાવવાનો ઈનકાર કર્યો, જનતા જાણે છે કે કોણ ખોટું બોલી રહ્યું છે. અમિત શાહ વાત કરવા માટે મુંબઈ આવ્યા હતા. મે મુખ્યમંત્રી પદને લઈને તેમની સાથે સ્પષ્ટ વાત કરી હતી. બધાને ખબર છે કોણ ખોટું બોલી રહ્યું છે.