નવી દિલ્હીઃ કોગ્રેસે અખિલ ભારતીય કોગ્રેસ સમિતિના મહાસચિવો અને પ્રભારીઓની નવી યાદી જાહેર કરી હતી. આ નવી યાદીમાં મહાસચિવના પદ પરથી વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જૂન ખડગેને હટાવવામાં આવ્યા છે. જોકે, તેમની સાથે સાથે અંબિકા સોની, મોતીલાલ વોરા અને લુજેનિયો ફલેરિયોને પણ તેમના પદ પરથી હટાવ્યા હતા.


કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરતા ગુલાબ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા અને કોગ્રેસ વર્કિંગ કમિટીનું પુનઃગઠન કર્યું.




પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની અને મલ્લિકાર્જૂન ખડગેને મહાસચિવના પદ પરથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીને સંગઠનાત્મક ફેરફાર માટે પત્ર લખનારા 23 નેતાઓમાં સામેલ આઝાદને મહાસચિવના પદ પરથી હટાવાની સાથે સીડબલ્યૂસીમાં સ્થાન આપ્યું છે. 24 ઓગસ્ટના રોજ CWC ની બેઠકમા બનેલી સહમતિ અનુસાર છ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ પાર્ટીના સંગઠન અને કામકાજ સંબંધિત મામલામાં સોનિયા ગાંધીને સહયોગ કરશે.

આ વિશેષ સમિતિમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સિંહ સુરજેવાલા સામેલ છે. સુરજેવાલા અને તારિક અનવરને પાર્ટીના નવા મહાસચિવ પણ બનાવવામાં આવ્યા છે.


ફેરફારને લઈને કોંગ્રેસમાં બે મત

આ ફેરફારને લઈને કોંગ્રેસમાં બે મત છે. એક પક્ષ એવું માને છે કે, પત્ર લખનારા નેતાઓનું કદ ઘટાડવામાં આવ્યું છે અને રાહુલ ગાંધીના નજીકનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ મુદ્દો વધારે ચર્ચામાં છે. જ્યારે બીજો મત એ છે કે સોનિય ગાંધીએ બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કર્યો છે અને પત્ર લખનાર ગ્રુપના દબાણમાં જ જૂના અટવાયેલા નિર્ણયો એક જ ઝાટકે લેવામાં આવ્યા. તેમના મતે રાહુલની પસંદને પ્રાથમિકતા મળવી વાજબી છે પરંતુ કોઈપણ ચોંકાવનારો નિર્ણય લેવામાં નથી આવ્યો. સત્ય બન્નેની વચ્ચે છે.


કેટલાક વૃદ્ધ નેતાઓને જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા

ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, મોતીલાલ વોરા, લુઇજિન્હો ફ્લેરિયો વગેરેને મહાસચિવ પદેથી હટાવવામાં આવ્યા છે. તેને પત્ર લખનાર ગ્રુપના સૌથી મોટા ચેહરા ગુલામ નબી આઝાદ પર કાર્રવાઈ તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ આ તમામ વૃદ્ધ નેતાઓને તેની ઉંમરને કારણએ જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે. કેટલાક નેતાઓએ તો આ મામલે ખુદ જ પાર્ટી હાઈકમાન્ડને આગ્રહ કર્યો હતો.