ઇમ્પાલઃ મણિપુર હાઈકોર્ટે કોંગ્રેસના સાત ધારાસભ્યોને વિધાનસભા જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પક્ષપલટુ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેને લઈને હાઈકોર્ટે સોમવારે આદેશ આપ્યો હતો. કોર્ટનું કહેવું હતું કે, વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ ધારાસભ્યો વિધાનસભામાં પ્રવેશ નહીં કરી શકે.


કેસમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પદધિકારીઓ તરફથી આ સાત ધારાસભ્યો વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં હાઈકોર્ટે આદશ આપ્યો છે. આ સાત ધારાસભ્યોએ 2017માં વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપની સરકાર બનાવવામાં મદદ કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી હતી.

હાઈકોર્ટના આદેશ બાદ હવે આ ધારાસભ્યો 19 જૂનના રોજ થનાર રાજ્યસભાની ચૂંટણીમાં વોટ નહીં નાંખી શકે. મણિપુરથી એકમાત્ર રાજ્ય સભા સીટ માટે 19 જૂનના રોજ ચૂંટણી થવાની છે. એવામાં આ ધારાસભ્યોના વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ એ એક મોટો નિર્ણય છે. કોંગ્રેસ તરફથી દાખલ કરવામાં આવેલ અરજી પણ આ ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવા માટે કરવામાં આવી હતી.

તેમને ગેરલાયક ઠેરવવા સંબંધિત અરજી પર સુનાવણી બાદ કોર્ટેને આદેશ આપ્યો કે તેને કોર્ટમાં પ્રવેશ નહીં આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, નવેમ્બર 2018માં વિધાનસભા અધ્યક્ષની સામે તેમને ગેરલાયક ગણાવવાની અરજી કરી હતી પરંતુ તેને તર્કસંગત સમયમાં તેના પર નિર્ણય કરવામાં આવ્યો ન હતો.