Manipur Viral Video News: મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવવાની ઘટનાને લઇને દેશના લોકોમાં ગુસ્સો છે. આ ઘટના 4 મેના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારે (19 જુલાઈ) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મણિપુર સરકાર અને પોલીસ એક્શનમાં આવી અને ઘટનાના મુખ્ય આરોપી સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન આ ઘટનાનો ભોગ બનેલી યુવતીએ પોતાની આપવીતી વર્ણવી હતી.






પીડિતોમાંની એક મહિલાએ ગુરુવારે (20 જૂલાઈ) ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હતી પરંતુ તેણે કોઇ કાર્યવાહી કરી નહી અને પોલીસે જ અમને ટોળાને સોંપી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આમાંથી એક 20 વર્ષની યુવતી છે, બીજી 40 અને ત્રીજી મહિલા 50 વર્ષની છે. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અમારા ગામ પર હુમલો કરી રહેલા ટોળાની સાથે હતી. પોલીસે અમને ઘરની નજીકથી લઇ ગઇ હતી અને ગામથી થોડે દૂર લઈ ગયા બાદ અમને ટોળા સાથે રસ્તા પર છોડી દીધા હતા. પોલીસે અમને તે હેવાનોને સોંપી હતી.


મણિપુર પીડિતાએ આપવીતી વર્ણવી


તેણે કહ્યું કે અમે પાંચ લોકો હતા. જેમાંથી બેની હત્યા કરવામાં આવી હતી. આ પછી ટોળાએ અમારી સાથે અત્યાચાર કર્યો હતો. પછી કોઈક રીતે અમે ત્યાંથી નાસી છૂટ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તેને આ વાયરલ વીડિયોની જાણ નથી કારણ કે અહીં ઈન્ટરનેટ કામ કરતું નથી. મહિલાએ વધુમાં કહ્યું કે ભીડમાં ઘણા લોકો સામેલ હતા, પરંતુ તે તેમાંથી કેટલાકને ઓળખે છે. આમાં મહિલાના ભાઈનો મિત્ર પણ સામેલ હતો.


આ ઘટનાના વાયરલ વીડિયોમાં ટોળું મહિલાઓને નગ્ન કરી રસ્તા પર ફેરવતી જોવા મળી રહી છે.  કેટલાક લોકો બે મહિલાઓને ખેતર તરફ ખેંચી જઇ બળજબરીથી છેડતી કરતા જોવા મળી રહ્યા છે. 18 મેના રોજ નોંધાયેલી એફઆઈઆરમાં પીડિતોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પીડિતાઓમાં સૌથી નાની 20 વર્ષની યુવતી સાથે પણ સામૂહિક દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હતુ.


ટોળાએ ગામમાં હુમલો કર્યો


ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે 4 મેના રોજ તેના ગામ બી ફાઇનોમ પર ટોળાએ હુમલો કર્યો હતો. લોકોના ઘરો સળગાવવામાં આવ્યા અને લૂંટફાટ કરવામાં આવી હતી. જે બાદ તે પોતાનો જીવ બચાવવા જંગલમાં ભાગી ગયા હતા. બાદમાં થોબલ પોલીસે તેમને બચાવી લીધા હતા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે ટોળાએ તેમને રસ્તામાં અટકાવ્યા હતા અને સ્ટેશનથી લગભગ બે કિલોમીટર દૂર પોલીસ કસ્ટડીમાંથી અમને ટોળામાં સામેલ કેટલાક લોકો પોતાની સાથે લઇ ગયા હતા.


ક્રૂરતાનો વિરોધ કરતાં પિતા-ભાઈની હત્યા


આ પછી ટોળાએ પહેલા મહિલાના પિતા અને પછી તેના ભાઈને માર માર્યો હતો. પિતા-ભાઈએ મહિલા સાથે થઈ રહેલી અત્યાચારનો વિરોધ કર્યો હતો. જેથી ટોળાએ તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ત્રણેય મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી હતી. દરમિયાન તેમની છેડતી અને દુષ્કર્મ આચર્યું હતું.


ચાર આરોપીઓની ધરપકડ કરાઇ


આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળ્યો હતો. આ મામલે કાર્યવાહી કરતા મણિપુર પોલીસે ગુરુવારે સવારે ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જેની ઓળખ હુઈરેમ હેરોદાસ મૈતેઇ (32 વર્ષ) તરીકે થઈ હતી. આ પછી રાત સુધી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


શું કહ્યું મુખ્યમંત્રી એન બિરેન સિંહે?


રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે આ ઘટનાને અમાનવીય ગણાવી અને કહ્યું કે દોષિતોને ફાંસીની સજા મળવી જોઈએ. તેમણે કહ્યું કે આ માનવતા વિરુદ્ધ ગુનો છે અને તેમની સરકાર આ જઘન્ય અપરાધ પર મૌન નહીં રહે. સત્તાવાળાઓને આ ઘટનામાં સંડોવાયેલા અન્ય ગુનેગારોને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial