નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ સચિવે લોકડાઉનને લઈને કડક આદેશ જાહેર કર્યા છે. આ આદેશ મુજબ જે લોકો શહેરોમાંથી ગામડામાં ગયા છે, તેણે પોતાના રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં 14 દિવસ સુધી રહેવું પડશે.


આ આદેશનો મતલબ છે કે સરકાર નથી ઈચ્છતી કે જે લોકો શહેરોમાંથી ગામડામાં ગયા છે તેમના કારણે કોરાનોનો ખતરો ફેલાઈ. આ લોકો કોઈપણ મેડિકલ તપાસ વગર શહેરોમાંથી ગામડાઓમાં ગયા છે.

લોકડાઉન બાદ શહેરોમાંથી મોટા પાયે મજૂરોના થઈ રહેલા સ્થળાંતરને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને Lockdownના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ડીએમ અને એએસપીને તેના પર નજર રાખવા જણાવ્યું છે. આ સિવાય મજૂરો, વિદ્યાર્થીઓ પાસે મકાન માલિકને ભાડું ન લેવા વિનંતી કરી છે. સરકારે કહ્યું આદેશનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી થશે.

કેન્દ્ર સરકારે કહ્યું, શહેરમાંથી મજૂરોના સ્થળાંતરને રોકવું જોઈએ. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારે લોકડાઉનનો ફેંસલો લીધો પરંતુ શહેરમાંથી લોકોના ગામડા અને માદરે વતન તરફ થઈ રહેલા સ્થળાંતરને કારણે લોકડાઉનને ધારી સફળતા ન મળતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

કેન્દ્ર સરકારે લોકોને હાઇવે પર ન નીકળવા અને જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવા વિનંતી કરી છે. કેન્દ્રેએ રાજ્ય સરકારોને આવા લોકોના જમવા અને રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. જો ખતરનાક વાયરસ ગામડા સુધી પહોંચી જાય તો ભયાનક સ્થિતિ ઉભી થઈ શકે તેમ છે જેને લઈ ઉપરોક્ત આદેશ કરવામાં આવ્યો છે.