નવી દિલ્હી: દુનિયાભરમાં ચાલી રહેલી કોરોના વાયરસ સામેની જંગમાં આજે યોગગુરૂ બાબા રામદેવે દાવો કર્યો છે પતંજલિએ કોરોનાની દવા બનાવી છે. પરંતુ હવે ભારત સરકાર હેઠળના આયુષ મંત્રાલયે દવાના પ્રચાર પર રોક લગાવી છે.




આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદ પાસે આ દવાના સંબંધમાં સમગ્ર જાણકારી માંગી છે. આયુષ મંત્રાલયે કહ્યું કે તેને આ દવાના સંબંધમાં તથ્યોના દાવા અને વૈજ્ઞાનિક શોધના સંબંધમાં કોઈ જાણકારી નથી મળી. આ સાથે જ આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદ તરફથી દવાના દાવાની જાહેરખબર અને પ્રચાર બંધ કરવા માટે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આજે યોગગુરૂ બાબા રામદેવે કોરોના વાયરસની આયુર્વેદિક દવા બનાવવાનો દાવો કર્યો છે. પતંજલિના યોગગુરૂ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ પત્રકાર પરિષદ કરી તેની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદમાં ટ્રાયલમાં સામેલ રહેલા વૈજ્ઞાનિક, ડૉક્ટર, રિસર્ચર પણ હાજર રહ્યા હતા. કોરોના વાયરસને માત આપનારી આ આયુર્વેદિક દવાનું નામ કોરોનિલ આપવામાં આવ્યું છે.