ફેક્ટ ચેક ડેસ્કઃ કોરોના મહામારીની વચ્ચે લગભગ તમામ વસ્તુ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એવામાં સ્કૂલો ખોલવાને લઈને હાલમાં અવઢવ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે તમામ સ્કૂલો અને અન્ય શિક્ષણ સંસ્થાઓને 30 નવેમ્બર સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. જણાવીએ કેસ સ્કૂલો ખોલવાનો નિર્ણય સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે.


વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના નવા દિશાનિર્દેશો અનુસાર 30 નવેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રહેશે. જોકે આ મામલે સરકારે સ્પષ્ટતા કરી છે. પ્રેશ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ગૃહ મંત્રાલયનો આ દાવો કરનાર નકલી નોટિસથી સાવચેત રહેવા માટે લોકોને કહ્યું છે. પીઆઈબીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ મામલે ફેક્ટ ચેક ટ્વીટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હેડલાઇન મિસલીડિંગ છે.


ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કોઈ નોટિસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવી નથી. વાસ્તવમાં કેન્દ્રએ સ્કૂલો અને કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો છે. અનેક રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવી છે. જ્યારે કેટલાક રાજ્યમાં તેના પર વિચાર ચાલી રહ્યો છે.