Monsoon in India: આખરે ચોમાસાની રાહ આખરે પૂરી થઈ. કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાના આગમનથી ખુશીનો માહોલ સર્જાયો છે અને ખેડૂતો પણ સંતુષ્ટ છે. કેરળમાં આજે મૃગ નક્ષત્રના સમયે ચોમાસું પ્રવેશ્યું છે.


એક સપ્તાહના વિલંબ બાદ આજે કેરળમાં ચોમાસું આવી ગયું છે. દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. કેરળમાં આજે ચોમાસું બેસી ગયું છે તેવી માહિતી હવામાન વિભાગે આપી છે. આ વર્ષે ચોમાસું કેરળમાં લગભગ એક સપ્તાહ મોડું પ્રવેશ્યું છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં ઓછા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. 




હવામાન વિભાગે શનિવારે કેરળમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી હતી. કેરળના ઘણા ભાગોમાં સારો વરસાદ થયો છે. ચોમાસાના આગમનથી ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી છે. વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે પવન સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


ગુજરાત પરથી બિપરજોય વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું ટળ્યુઃ અંબાલાલ પટેલ


Biparjoy Cyclone: વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બિપરજોય વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર ગુજરાતમાં આવનાર વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે. વાવાઝોડાની દિશા ઓમાન તરફ ફંટાતા હાલ ગુજરાતને ઓછી અસર કરશે તેવું અનુમાન છે. બિપરજોય વાવાઝોડાની મહત્તમ સ્પીડ 220 પ્રતિ કિલોમીટરની ઝડપ રેહવાની શક્યતા છે.


બિપરજોય વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સ્થિર થયૃં છે અને પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે. જ્યારે વાવાઝોડાની ગતિ ધીમી છે એટલે કે વાવઝોડું કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે, તે હાલ કહેવુ મુશ્કેલ છે. ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમ પ્રમાણે બપોર પછી ખબર પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે તો ગુજરાત માટે બે દિવસ જોખમી રહેશે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળશે. જો કે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.


હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે. નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયોમાં ખેડવા સૂચના અપાઈ છે . તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRF ની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેકટર દ્વારા જણાવાયું છે