નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટનો સામનો કરી રહેલી ભારતીય અર્થવ્યસ્થા માટે વધુ એક માઠા સમાચાર છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતની જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ફરી એકવાર ઘટાડી દીધું છે. મૂડીઝે કહ્યું કે, કેલેન્ડર વર્ષ 2020માં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 5.3 ટકા પર આવી શકે છે. આ પહેલા ફેબ્રુઆરી 2020માં મૂડીઝે વર્ષ 2020 માટે ભારતનો જીડીપી ગ્રોથનું એસ્ટિમેન્ટ આપતા કહ્યું હતું કે જીડીપી ગ્રોથ 5.4 ટકા રહી શકે છે.


કોરોના વાયરસની ભારતીય અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસરન જોતાં મૂડીઝે આ ગ્રોથ અનુમાન સંશોધિત કર્યું છે. તે સિવાય એ પણ કહ્યું કે ઘરેલું માંગમાં ઘટાડો, સેવાઓના વિસ્તરણમાં ઘટાડો અને માલની સપ્લાઈ પર અસર પડવાના કારણે આ નકારાત્મક અસર ભારતની ઈકોનોમી પર જોવા મળી રહી છે. સપ્લાઈ ચેન પર અસર પડી રહી છે અને દેશોની વચ્ચે થતા વ્યાપાર પર અસર પણ ભારત પર છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મૂડીઝે વર્ષ 2020 માટે દેશનું જીડીપી અનુમાન 5.4 ટકા કરી દીધું હતું જે આ પહેલાના અનુમાન 6.6 ટકા કરતા પણ ઘણું ઓછું છે. જો કે વર્ષ 2021 માટે મૂડીઝે કહ્યું કે, આ વર્ષમાં ભારતનો વિકાસ દર 5.8 ટકા આવી શકે છે.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે પણ જીડીપી અંગે કહ્યું હતું કે કોરોના વાયરસની અસરના કારણે દેશની જીડીપી પર અસર પડી શકે છે.

આ પહેલા સરકારી આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ સામાન્ય સુધારા સાથે 4.7 ટકા રહ્યો હતો. બીજા ક્વાર્ટમાં જીડીપી દર 4.5 ટકા હતો અને તે સાડા છ વર્ષના નીચલા સ્તરે આવી ગયો હતો.