મુંબઈ: મુંબઈની આર્થર રોડ જેલમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 81 નવા કેસ સામે આવ્યા છે. આર્થર રોડ જેલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં કુલ 158 થઈ છે. આ 158 કેદીઓ સિવાય 26 જેલ અધિકારીઓને પણ કોરોના સંક્રમિત છે. બે દિવસ પહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે માહિતી આપતા કહ્યું હતું કે આર્થર રોડ જેલમાં 77 કેદીઓ અને 26 જેલ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


આ કેદીઓને મુંબઈના માહુલ ગામમાં બનેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં લઈ જવાના હતા પરંતુ જેલના અધિકારીઓ કેદીઓને માહુલમાં બનેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં ન લઈ ગયા. હવે આર્થર રોડ જેલમાં જ ક્વોરન્ટાઈન ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં સરકારી જે જે હોસ્પિટલના ડૉક્ટર દરરોજ જેલમાં જઈ તપાસ કરશે.


જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા તેમજ મેડિકલ જેવા કારણોને લઈ જેલના કેદીઓને માહુલના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ન મોકલી આર્થર રોડ જેલ સર્કલ નંબર 3 અને સર્કલ નંબર 10 ક્વોરન્ટીન વોર્ડ બનાવવામાં આવ્યો છે. આજે જે જે હોસ્પિટલના 7 ડૉક્ટર અને મેડિકલ સ્ટાફે જેલમાં આવી કેદીઓની તપાસ કરી હતી.

આ કેદીઓને કોરોનાથી રક્ષણ સિવાય પોલીસની નજરમા રાખવા જરૂરી છે. અંડર ટ્રાયલ કેદીઓમાં ગંભીર ગુનાના આરોપીઓ પણ છે જેમના પર હત્યા અને યૌન શોષણનો આરોપ છે. મુંબઈની આર્થર રોડ જેલ શહેરની સૌથી મોટી અને હાઈ પ્રોફાઈલ જેલ છે. જેલમાં કેદીઓની ક્ષમતા આશરે 800 જેટલી છે પરંતુ જેલમાં 2800થી વધુ કેદીઓ છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં જ 1100 કેદીઓને જામીન પર મુક્ત કર્યા હતા.