નવી દિલ્હી: નક્સલવાદને ડામવા કેન્દ્ર સરકારના અનેક પ્રયાસોના કારણે દેશભરમાં નક્સલી હિંસાની ગતિવિધિઓમાં ઘટાડો આવ્યો છે. નક્સલી ઘટનાઓની સંખ્યામાં 38 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સાથે સુરક્ષાદળના જવાનોના મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ આ જાણકારી રાજ્યસભામાં નક્સલી હિંસાને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.


કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકાર નક્સલી હિંસા સામે લડવા માટે સતત પ્રયત્નો કરી રહી છે અને તેના કારણે જ નક્સલી હિંસાની ગતિવિધિઓમાં વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2019માં ઘણો ઘટાડો આવ્યો છે અને આ ઘટાડો 38 ટકાથી વધુ છે.

2015માં નક્સલી ઘટનાઓની સંખ્યા 1089 હતી જ્યારે 2016માં 1048, 2017માં 908, 2018માં 833 અને 2019માં આ સંખ્યા ઘટીને 670 થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરી સુધી કુલ 123 નક્સલવાદની ઘટનાઓ સામે આવી છે.

નક્સલી હિંસામાં સુરક્ષાદળના જવાનોના મોતની સંખ્યામાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. વર્ષ 2015 થી 2019 સુધીમાં ક્રમશ: 56, 65, 75, 67 અને 52 સુરક્ષાકર્મી નક્સલી ઘટનામાં શહીદ થયા હતા જ્યારે આ વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી માત્ર 5 સુરક્ષાકર્મી શહીદ થયા છે.

કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તેની તપાસ માટે વપરાતી ગન શું છે ? કઈ રીતે કોરોનાના ચેપની ખબર પડે છે ?

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, 2015થી 2019 સુધીમાં 817 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને આ વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં પાંચ નક્સલી અથડામણમાં માર્યા ગયા છે.