નવી દિલ્હીઃ તહેવારની સીઝન પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણા મંત્રીએ કહ્યું કે, કોવિડ 19ની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઈ છે. ગરીબો માટે આત્મનિર્ભર ભારત પેકેજ દ્વારા રાહત આપવામાં આવી છે. સપ્લાઈમાં સુધારા પર કન્ઝ્યૂમર ડિમાન્ડ પર અસર હજુ જોવા મળી રહી છે.


કન્ઝ્યૂમિર ડિમાન્ડ વધારવા માટે બે સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે, પહેલી છે એલટીસી કેશ વાઉચર સ્કીમ અને બીજી ફેસ્ટિવલ સ્કિમ છે. નાણા મંત્રીએ કહ્યું કે, એલટીસી વાઉચર સ્કીમમાં રજાના બદલામાં કર્મચારીને રેલ્વે અથવા હવાઈ યાત્રાના 3 ગણી રકમ જેટલી વસ્તુ અથવા સર્વિસ ખરીદી શકે છે.

આ વાઉચરનો ઉપયોગ માત્ર એવી વસ્તુ અથવા સર્વિસ માટે ઉપયોગ કરી શકાશે, જેના પર 12 ટકા અથવા તેનાથી વધારે જીએસટી લાગે છે. કર્મચારીઓએ પોતાના ખર્ચની સાથે જીએસટી બિલ પણ રજૂ કરવાનું રહેશે. સાથે જ આ ગુડ્સ અથવા સર્વિસ માટેનું પેમેન્ટ રજિસ્ટર્ડ વેન્ડરની પાસે ડિજિટલ મોડથી કરવાનું રહેશે. નાણા મંત્રીએ કહ્યું કે, એલટીસી માટે રોકડ પર સરકારનો ખર્ચ 5675 કરોડ રૂપિયા હશે.

જ્યારે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ અંતર્ગત સરકારી કર્મચારીઓને 10,000 રૂપિયાનું ફેસ્ટિવલ એડવાન્સ આપવામાં આવશે. અર્થવ્યવસ્થામાં માગને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. નાણા મંત્રીએ કહ્યું કે, મૂડીગત ખર્ચની વધારે અસર અર્થવ્યવસ્થા પર પડી છે. આજે કરવામાં આવેલ જાહેરાતથી કુલ 28,000 કરોડ રૂપિયા જેટીલ માગ વધારવામાં મદદ મળશે, જેનો અર્થવ્યવસ્થાને ફાયદો થશે.