નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણે સુરક્ષા દળોના આતંકવાદ વિરોધી ઓપરેશનનો પડકાર વધારી દીધો છે. ગુપ્તચર એજન્સીના  જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન કે ત્યાં ઉછરી રહેલા કટ્ટરવાદી સંગઠનો સરહદ પારથી કોરોના સંક્રમિત આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી શકે છે. પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ સરહદે કડક ચોકી પહેરો રાખવા જણાવ્યું છે.


સુરક્ષા બળના અધિકારીએ કહ્યું કે, અમને સતર્ક રહેવા જણાવાયું છે. જેને લઈ ઉચ્ચ સ્તર પર સતર્કતા રાખવામાં આવી રહી છે. બોર્ડર પર દેખરેખ રાખવા સ્માર્ટ ટેકનોલોજીનો પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે સંક્રમિત વ્યક્તિને સીમા પારથી પ્રવેશ કરાવવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશ સરહદેથી ખેડૂતોના વેશમાં આતંકીઓ ઘૂસણખોરી કરી શકે છે. તેથી બાંગ્લાદેશ સરહદ પર આઈબીબીએફને ખેતી રોકી દેવામાં જણાવાયું છે.

ઘૂસણખોરોની કોશિશ સફળ ન થાય તે માટે સુરક્ષા બળોને ઝીરો ટોલરન્સ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈપણ સુરક્ષા ઓપરેશન દરમિયાન જવાનોને માસ્ક, ગ્લોવ પહેરવા જણાવાયું છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19.50 લાખને પાર કરી ગઈ છે.