ઇસ્લામાબાદ: પાકિસ્તાને કબૂલ કર્યું છે કે, પુલવામા આતંકી હુમલામાં તેમનો જ હાથ હતો. આ પૂરાવા ભારત પાસે પહેલેથી જ હતા પરંતુ હવે પાકિસ્તાનના જ મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યું કે, પુલવામા હુમલો ઈમરાન ખાન સરકારની મોટી સફળતા હતી.


ફવાદ ચૌધરીએ કહ્યું કે, “જનાબ મહમૂદ કુરેશી સાહેબના પગ ધ્રૂજતા હતા. કહી રહ્યાં હતા કે હિંદુસ્તાન હુમલો કરી રહ્યું છે. અમે હિંદુસ્તાનને ઘૂસીને માર્યું છે. જનાબ-એ-સ્પીકર સાહેબ. પુલવામામાં જે આપણને સફળતા મળી છે. તે ઈમરાન ખાનના કાર્યમાં આ સમુદાયની સફળતા છે. તેના ભાગીદાર આપ બધા જ છો.”

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર વિસ્ફોટકથી ભરેલી ગાડીએ આતંકી હુમલો કર્યો હતો અને તેમાં દેશના 40થી વધુ જવાન શહીદ થઈ ગયા હતા.

આ પહેલા પાકિસ્તાનના એક વરિષ્ઠ વિપક્ષી નેતા અયાઝ સાદિકે કહ્યું હતું કે, એક બેઠકમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે, જો ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવામાં ન આવતો, તો ભારત રાતે નવ વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી દેશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા સાદિક અનુસાર જ્યારે કુરેશી આ કહી રહ્યું હતા ત્યારે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો પરસેવો છૂટી ગયો હતો અને તેના પગ ધ્રૂજી રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુ સેનાના 37 વર્ષીય અધિકારી અભિનંદન વર્ધમાનને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની સેનાએ બંદી બનાવી લીધો હતો જ્યારે પાકિસ્તાની વિમાનો સાથે થયેલી હવાઈ જંગમાં વર્ધમાને મિગ-21 બાઈસન વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાને તેને એક માર્ચે ભારતને સોંપ્યો હતો.