પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે મંગળવારે (25 એપ્રિલ) 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ એક અઠવાડિયા પહેલા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદીએ પંજાબના પૂર્વ સીએમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


દેશની રાજનીતિમાં પ્રકાશ સિંહ બાદલનું કદ પણ એવું જ હતું. તેમને ગઠબંધનની રાજનીતિમાં મોટા ખેલાડી કહેવામાં આવતા હતા. તેની શરૂઆત 1970માં થઈ હતી જ્યારે પ્રકાશ સિંહ બાદલ પહેલીવાર પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેમણે જનસંઘની મદદથી પહેલીવાર સરકાર બનાવી. જો કે, આ સરકાર લગભગ સવા વર્ષ સુધી જ ચાલી શકી અને પછી જનસંઘે હિન્દી ભાષાના મુદ્દે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું. જે બાદ સરકાર પડી ગઇ હતી.






ભાજપ સાથે ગઠબંધન


પ્રકાશ સિંહ બાદલના શિરોમણી અકાલી દળ અને ભાજપે પહેલીવાર ગઠબંધન કરીને 1997ની વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જે બાદ પ્રકાશ સિંહ બાદલ મુખ્યમંત્રી બન્યા. પંજાબમાં 2007ની ચૂંટણીમાં પ્રકાશ સિંહ બાદલના શિરોમણી અકાલી દળે ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધનને 117માંથી 67 બેઠકો મળી અને પ્રકાશ સિંહ બાદલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં શિરોમણી અકાલી દળ અને ભાજપે ફરી સરકાર બનાવી અને બાદલ ફરી એકવાર પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા.


એનડીએનો ભાગ


આ વાત હતી પંજાબની રાજનીતિની રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો અહીં પણ પ્રકાશ સિંહ બાદલનો જાદુ ચાલ્યો. શિરોમણી અકાલી દળ 1998 થી 2020 સુધી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો એક ભાગ હતો. બાદલ પરિવારની પુત્રવધૂ હરસિમરત કૌર બાદલ 2014 અને 2019માં કેન્દ્રની એનડીએ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.


ભાજપથી બનાવ્યું અંતર


જો કે, 2020 માં બંને પક્ષો ખેડૂત આંદોલનના મુદ્દા પર અલગ થયા હતા. જે બાદ અકાલી દળે ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા અને હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું. આ પછી શિરોમણી અકાલી દળે 2021માં માયાવતીની બસપા સાથે ગઠબંધન કર્યું જે અત્યારે પણ યથાવત છે.