નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કરશે. સત્ર દરમિયાન સરકારનું ધ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર આભાર પ્રસ્તાવ પર સરળ ચર્ચા પર રહેશે. બીજી તરફ વિરોધ પક્ષોએ અદાણી જૂથ, કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોની કામગીરી, જાતિ આધારિત વસ્તીગણતરી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સરકાર સત્ર દરમિયાન જ 31 જાન્યુઆરીએ સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે.






નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે. સોમવારે સર્વપક્ષીય બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું કે તે સંસદમાં નિયમો હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને ગૃહને યોગ્ય રીતે ચલાવવા માટે દરેકનો સહયોગ માંગે છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, "સરકાર સંસદમાં નિયમો હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, અમે વિપક્ષનો સહયોગ ઈચ્છીએ છીએ."






જોશીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં 27 રાજકીય પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા, ડીએમકે, ડાબેરી પક્ષો વગેરેએ અદાણી જૂથ સાથે સંબંધિત મુદ્દા ઉઠાવ્યા અને સંસદ સત્ર દરમિયાન તેના પર ચર્ચા કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકન ફોરેન્સિક ફાઇનાન્શિયલ કંપની હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, જેના પછી છેલ્લા કેટલાક દિવસોમાં ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે. હિંડનબર્ગ રિસર્ચના આરોપોના જવાબમાં અદાણી ગ્રુપે નિવેદન બહાર પાડ્યુ હતું.


સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં ટીઆરએસ અને ડીએમકે જેવી પાર્ટીઓએ વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલના વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.  તેમણે કહ્યું કે આ સાથે સર્વપક્ષીય બેઠકમાં વાયએસઆર કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત આર્થિક વસ્તી ગણતરીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.